સુરત, 8 જૂન (હિ.સ.)- સુરતના ખોડિયારનગર વિસ્તારમાં અધૂરી રસ્તાની કામગીરી એક ગંભીર અકસ્માતનું કારણ બની. મેયર પીંકીબેન સોનીના વોર્ડમાં આવેલા આ વિસ્તારમાં શનિવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે રેતી ભરેલી એક ટ્રક રોડ પર પલટી ગઈ હતી. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, ખોડિયારનગરના પંચમ ત્રણ રસ્તા થી સરદાર એસ્ટેટ તરફ જતો માર્ગ વરસાદી કાંસની કામગીરી માટે ખોદવામાં આવ્યો હતો. જોકે, કામગીરી પૂર્ણ થયા પછી પણ ખાડાનું પુનઃભરાણ કરવામાં આવ્યું ન હતું, જેને કારણે રસ્તા પર ખાડો ખુલ્લો રહ્યો.
શનિવારે રાત્રે જ્યારે રેતીથી ભરેલી ટ્રક એ માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તેના ચાકડાંઓ ખાડામાં ફસાઈ ગયા અને ટ્રકનું સંતુલન બગડી જતાં ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગઈ. ટ્રક ડ્રાઈવરનો બચાવ થયો હતો, પણ રોડ પર રેતી ફેલાઈ ગઈ હતી, જેને કારણે વાહનવ્યવહાર પણ થોડો સમય માટે ખોરવાયો.
સ્થાનિકો દ્વારા મનપાની કામગીરી અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને તાકીદે ખાડાનું સમારકામ કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે