પોરબંદર, 8 જૂન (હિ.સ.) : પોરબંદર મનપા વિસ્તારમાં વેરા વધારાને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકાની છેલ્લી બોડીએ કરેલા નિર્ણયો નગરજનોને હવે વસમા પડી રહ્યા છે. જે વેરો દોઢસો રૂપિયા વસુલવામાં આવતો હતો તે વેરો હાલ 300-500 સુધી એટલે કે 2 થી 2.5 ગણો તગડો વસૂલાય રહ્યો છે. પોરબંદરના જાગૃત નાગરિકો શહેરની મુખ્ય બજારમાં ફરી વાંધા અરજીની કોપી આપી રહ્યા છે અને તે ભરી મનપામાં વિરોધ વ્યાકત કરવા અપીલ કરવામાં આવી રહી છે,ગાંધી જન્મભૂમિ પોરબંદર ખેતી માછીમારી પર આધારિત જિલ્લો છે. માછીમારી ઉદ્યોગને છેલ્લા 10 વર્ષમાં અનેક ફટકાઓ પડ્યા છે. હાલ પોરબંદરનો માછીમારીનો વ્યવસાય મરણપથારી પાર આવી પહોંચ્યો છે. જે ઘરમાં 10-10 બોટ ચાલતી ત્યાં આજે 1 માંડ ચાલે છે. અનેક લોકો કર્જમાં ડૂબી ગયા છે ત્યારે હાલ પોરબંદર જિલ્લો માત્રને માત્ર ખેતી પર આધારીત છે.
પોરબંદર મનપા વિસ્તારમાં ખાસ મોટા ઉદ્યોગ પણ નથી અને અન્ય વ્યવસાય પણ એવા નથી ત્યારે નગરપાલિકાની છેલ્લી બોડીએ ગત ડિસેમ્બર 2024માં કરેલા વેરા વધારાને લીધે નગરજનોમાં અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી છે. ગત માસમાં વિવિધ એસો.એ વેરા વધારાને લઈને લેખિત રજૂઆતો કરી પરંતુ તેમાં પણ હજુ સુધી કોઈ નક્કર નિર્ણયો મનપાએ જાહેર કર્યા નથી ત્યારે આજે શુક્રવારે તા.6 જૂનના રોજ શહેરના જાગૃત નાગરિક અમિત ખોળા અને જીગ્નેશ કોટેચા સહિતના લોકોએ વાંધા અરજીઓની નકલો શહેરી વિસ્તારમાં વિતરણ કરવાનું શરુ કર્યું છે અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે વાંધા અરજીમાં વિગતો ભરી મનપા કચેરી સુધી પહોંચાડવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya