ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : પ્રધાનમંત્રીના પર્યાવરણ પ્રત્યેના દ્રષ્ટિકોણ અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રકૃતિને સંરક્ષિત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ગાંધીનગર મહાનગરપાલિકાની બાગાયત શાખા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગરૂપે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ એક પેડ માં કે નામ 2.0 અને કેચ ધ રેઈન ઝુંબેશની પહેલ રૂપે સેક્ટર-૨૨ સ્થિત પંચદેવ મંદિર સામે આશરે 5000 ચો.મી. વિસ્તારમાં યોજાયો હતો. 10,000 રોપાના આયોજન પૈકી 500 જેટલા સ્થાનિક પ્રજાતિના રોપા જેવા કે, પીપળ, બોરસલ્લી, આમળા, કણજા, શેતુર, ગુલમોહર વગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાનાં ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, ધારાસભ્ય ગાંધીનગર (ઉત્તર) રીટાબેન પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઇ વ્યાસ, મ્યુનિસિપલ કમિશનર જે.એન. વાઘેલા, શહેર પ્રમુખ આશિષભાઇ દવે, પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, બાગાયત સમિતિના ચેરમેન સોનાલીબેન પટેલ સહિતના પદાધિકારીઓ, કર્મચારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ એક પેડ માં કે નામ 2.0 અને કેચ ધ રેઈન દ્વારા ગાંધીનગરને વધુ લીલુંછમ અને જૈવ વિવિધતા ભર્યા વાતાવરણમાં વધારો કરવાનો તેમજ પ્રજાજનોને વધુને વધુ વૃક્ષારોપણ કરવા પ્રેરણા મળી રહે તે અર્થે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ