પોરબંદર, 8 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. પોરબંદર જિલ્લાના ચૂંટણી સંબંધિત મતદાન વિભાગમાં મતદારો નિર્ભયપુર્વક અને શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો ન થાય તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા મતદાનના દિવસે નિયત થયેલ મતદાન મથકના 200 મીટરના વિસ્તારમાં વિવિધ પ્રતિબંધો કરવામાં આવ્યાં છે.ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ-163 અન્વયે પોરબંદર જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતોના વિસ્તારમાં તા.22/06/2025 મતદાન દિવસના રોજ મુકરર થયેલ મતદાન મથકના 200 મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર વગેરે સંબંધી બુથ ઉભા કરી શકાશે નહી. તેમજ ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી 200 મીટરની બહાર મતદારોને મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને બે ખુરશી રાખી શકશે અને આવા મંડપને આડાશ લગાવી શકાશે નહી.
મતદાનના દિવસે મતદાન મથકની 100 મીટરના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી શકાશે નહી. ચૂંટણી સબંધી પત્રિકાઓનું વિતરણ થઈ શકશે નહી તેમજ ચૂંટણી પ્રતિકો દર્શાવી શકાશે નહી. મતદાન કરવા જતાં મતદારને ડર કે ભય ઉભો થાય તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહી અને મતદારને કોઈ ઉમેદવારની તરફેણમાં કે વિરૂધ્ધમાં મતદાન કરવા કે મતદાન ન કરવા દબાણ કરી શકાશે નહી. દોરવી શકાશે નહી કે કોઈપણ પ્રકારનું પ્રલોભન આપવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.મતદાનના દિવસે ઉમેદવાર/રાજકીય પક્ષના મંજુરીવાળા ચૂંટણી સબંધી વાહનોને પણ મતદાન મથકવાળા બિલ્ડીંગમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. અને કોઈપણ વ્યકિત મતદાન મથક તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ પણ ઉપકરણો સાથે મતદાન દિવસ તા.22/06/2025 ના સવારનાં 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી (મતદાનના સમગ્ર સમય દરમ્યાન) પ્રવેશ કે તેનો ઉપયોગ કરી શકશે નહી.મતદાન મથક તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશા વ્યવહારના અન્ય કોઈ પણ ઉપકરણો સાથે મતદાન દિવસ તા.22/06/2025 ના સવારનાં 7:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી પ્રવેશ કે તેનો ઉપયોગ કરી શકશે નહી તે આદેશ ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ પરના તમામ અધિકારી/કર્મચારીઓને તથા ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ પરના તમામ પોલીસ/એસઆરપી/હોમગાર્ડ/પેરામીલેટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં.આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya