દરરોજ 5000 ડગલાં ચાલો અને મેદસ્વિતાથી મુક્તિ મેળવો
ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : આજનાં ઝડપી જીવનમાં દિવસેને દિવસે આરોગ્યની કાળજી રાખવી મુશ્કેલ બની રહી છે. કામનું ભારણ, તણાવ અને અનિયમિત જીવનશૈલીને કારણે મેદસ્વીપણું એ લોકોમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. સ્થૂળતા આપણાં શરીરનો આકાર તો બગાડે જ છે, પરંતુ તે
ચાલવાના ફાયદાઓ


ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : આજનાં ઝડપી જીવનમાં દિવસેને દિવસે આરોગ્યની કાળજી રાખવી મુશ્કેલ બની રહી છે. કામનું ભારણ, તણાવ અને અનિયમિત જીવનશૈલીને કારણે મેદસ્વીપણું એ લોકોમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. સ્થૂળતા આપણાં શરીરનો આકાર તો બગાડે જ છે, પરંતુ તે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ અને સાંધાના દુખાવા જેવાં અનેક ગંભીર રોગોનું કારણ પણ બને છે. માટે, જો તમે મેદસ્વિતામાંથી છુટકારો મેળવવા માંગતા હો, તો તમારે ખુબ મહેનત કે વધારે કસરત કરવાની જરૂર નથી બસ, રોજનાં 5000 ડગલાં ચાલવાની ટેવ પાડવાની જરૂર છે.

તમને સાંભળીને નવાઈ લાગશે કે માત્ર ચાલવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે સાચી છે. જ્યારે આપણે દરરોજ ચાલીએ છીએ, ત્યારે આપણું શરીર ધીમે ધીમે કેલરી બર્ન કરે છે. જો તમે નિયમિત રીતે 5000 ડગલાં ચાલો છો, તો તમે દરરોજ લગભગ 150 થી 200 કેલરી બર્ન કરી શકો છો. આ સંખ્યા નાની લાગશે, પરંતુ જ્યારે તમે અઠવાડિયા અને મહિનાઓ સુધીનો હિસાબ કરો, ત્યારે તમને એક મોટી સંખ્યા મળશે.

ચાલવાથી શરીરનું મેટાબોલિઝમ પણ ઝડપી બને છે. જ્યારે ચયાપચય સારું હોય છે, ત્યારે શરીર ખોરાકને વધુ સારી રીતે પચાવે છે અને બિનજરૂરી ચરબીને એકઠી થતી અટકાવે છે. વળી, ચાલવાની પ્રક્રિયા આપણાં માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તે તણાવને ઘટાડે છે અને આપણે માનસિક રીતે શાંત અને સ્થિર બનાવે છે.

આ સિવાય રોજ 5000 ડગલાં ચાલવાની આદત આપણને વધુ સક્રિય બનાવે છે. જેમ જેમ આપણે ચાલવાનું શરૂ કરીએ છીએ તેમ તેમ આપણાં શરીરની સહનશક્તિ વધે છે, શ્વાસ લેવાની ક્ષમતામાં સુધારો થાય છે અને હૃદય વધુ સારી રીતે કામ કરવા લાગે છે. ઘણાં લોકો ઊંઘ ન આવવાની ફરિયાદ કરતાં હોય છે, પરંતુ જો તેઓ આખો દિવસ થોડું ચાલવાનું શરૂ કરી દે તો રાત્રે તેઓને ઊંઘ પણ સારી આવશે.

આ આદત અપનાવવી ખૂબ જ સરળ છે. તમારે મોંઘા જીમમાં જવાની કે હેવી ડાયટ પ્લાન અપનાવવાની જરૂર નથી. તમે નાની નાની બાબતોથી શરૂઆત કરી શકો છો, જેમ કે લિફ્ટને બદલે સીડીઓનો ઉપયોગ કરવો, નજીકમાં જવું હોય તો ચાલીને જવું. સવાર-સાંજ ચાલવાની આદત પણ અપનાવી શકાય છે. તમે મોબાઇલ એપ્લિકેશનો અથવા સ્માર્ટ વોચથી તમારાં ડગલાઓની સંખ્યાનો રેકોર્ડ પણ રાખી શકો છો જેથી તમે તમારાં લક્ષ્ય 5000 ડગલાં સુધી પહોચ્યાં કે નહિ તેની જાણકારી તમને રહે.

શરૂઆતમાં ભલે તમે 5000 ડગલાં ન ચાલી શકો, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ લક્ષ્યને તમે ધીમે-ધીમે હાંસલ કરી શકો છો. સૌથી મહત્ત્વની બાબત નિયમિતતા છે. જ્યારે તે આદત બની જાય છે, ત્યારે તમે ધીમે ધીમે વજન ઉતારી શકો છો એટલું જ નહીં, પરંતુ તમારી આખી જીવનશૈલી હકારાત્મક રીતે બદલાય છે.

આખરે, એ કહેવું ખોટું નહીં હોય કે મેદસ્વીપણું એ એવી સમસ્યા નથી કે જેને ઉકેલવી મુશ્કેલ કે અશક્ય હોય. તે સંપૂર્ણપણે તમારી દિનચર્યા અને ઇચ્છાશક્તિ પર આધારિત છે. જો તમે દરરોજ 5000 ડગલાં ચાલવાનું નક્કી કરો અને નિયમિત રીતે આનું પાલન કરો છો તો મેદસ્વીપણું તમારાથી દૂર ભાગી જશે અને તમને એક નવું અને ઊર્જાવાન જીવન મળશે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande