સુરત , 10 જુલાઈ (હિ.સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોની
પ્રવર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી સંબંધિત વિભાગોના અધિકારીઓને
વરસાદથી નુકસાનગ્રસ્ત બનેલા માર્ગો-પુલોની મરામત માટે પેચવર્ક કરવા માટેનો આદેશ
આપ્યો હતો. જેના ભાગરૂપે માર્ગ અને મકાન વિભાગ-૨ના કાર્યપાલક ઈજનેરશ્રી
એન.એન.પટેલની નિગરાની હેઠળ માંડવી થી શેરૂલાના 14 કિ.મી.ના અતિ વ્યસ્ત રોડ પર
ક્ષતિગ્રસ્ત રસ્તાઓના પેચવર્કનું કામ પ્રગતિમાં છે.
માર્ગ
અને મકાન વિભાગ-2ના આસિસ્ટન્ટ ઈજનેર રવિન્દ્રભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં
છેલ્લા કેટલાક દિવસોથી થયેલા ભારે વરસાદને કારણે માંડવી થી શેરૂલાનો વચ્ચેના 14કિ.મી લાંબા સ્ટેટ હાઇવે પર ખાડા પડી ગયા હતા. વરસાદમાં વિરામ બાદ તાત્કાલિક પેચ
વર્કની કામગીરી હાથ ધરતા વાહન વ્યવહાર સરળ અને સુગમ બન્યો છે. માંડવી, ઉકાઇ
અને તાપીને જોડતો આ હાઇવે એટલા માટે મહત્વનો છે કે આ હાઇવે પર ઇકો ટુરિઝમ આવેલા છે, જેના
કારણે વાહનોની અવરજવર સતત રહે છે. ઉપરાંત, મહારાષ્ટ્રથી
ટ્રાન્સપોર્ટ માટેના મોટા વાહનની પણ અવરજવર રહે છે, મેટલ
પેચ વર્ક, ડામર પેચ વર્ક અને ટ્રાયલ બેસ ઉપર કૉન્ક્રીટ પેચ વર્કની
કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીથી રસ્તા ઉપયોગ કરતા લોકોને હવે ભારે રાહત
અનુભવાશે.
જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના માર્ગદર્શનમાં માર્ગ અને મકાન વિભાગનું
તંત્ર વરસાદી સિઝનમાં માર્ગ વ્યવસ્થાપન સુનિશ્ચિત બનાવવા સંપૂર્ણ સતર્કતા સાથે
કામગીરી કરી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે