સુરત, 11 જુલાઈ (હિ.સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના
મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા
જાહેરહિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી, જેના
ભાગરૂપે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ પાસે એન.એચ.-48 પર
તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી. બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટની સમારકામની
કામગીરીને ધ્યાને લઈને બ્રિજ બંધ કરવામાં આવનાર છે, જે સંદર્ભે
કલેક્ટરશ્રીએ ટેકનિકલ ટીમને સાથે રાખી તાપી બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું, અને
ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ ચાર રસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ
કરવામાં આવનાર હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે ચર્ચા કરી ટ્રાફિક
ડાયવર્ઝન અને બ્રિજના સમારકામના આયોજનની સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેક્ટરએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના
નિર્દેશ અનુસાર જિલ્લાના નાના-મોટા તમામ પુલોની ક્ષમતાની ચકાસણી ટેકનિકલ ટીમો
દ્વારા કરવામાં આવી રહી છે. જે કોઈ પુલો નાગરિકો, વાહનચાલકો
માટે જોખમી જણાશે તો તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવશે, જરૂર જણાયે
ડાયવર્ઝન પણ અપાશે. તાપી બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટનું સમારકામ એક મહિનામાં પૂર્ણ
કરવામાં આવશે.
કલેક્ટરશ્રીએ કીમ ચાર રસ્તા પાસે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ના પેકેજ-6 ની
પણ મુલાકાત લીધી હતી, આ પેકેજ-6 માં વાહનોના આવાગમન માટે થઈ રહેલી કામગીરીનું
નિરીક્ષણ કર્યું હતું. જ્યાંથી ભરૂચથી સુરત સુધીના એન.એચ.-48 પરના તાપી બ્રિજની
ડાબી સાઇડ તરફથી આવતા ભારે વાહનો માટે આજે મોડી રાત્રિએ બંધ કરવામાં આવનાર છે. કીમ
તરફથી નવા બનેલા એક્સ્પ્રેસ વે પર જઈને ભારે પલસાણા તાલુકાના એના ગામ પાસે ઉતરીઅને
હાઈવેને કનેક્ટિવિટી મેળવી શકશે. NHAI ના
પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય કુમાર યાદવે કલેકટરશ્રીને પુલના સમારકામના આયોજનની વિગતોથી
વાકેફ કર્યા હતા.
મુલાકાત સમયે પ્રાંત અધિકારી વી.કે. પીપળિયા, મામલતદાર
રશ્મિન ઠાકોર, ડી.વાય.એસ.પી. આર.આર. સરવૈયા, NHAI ના અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે