પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : સરકારના “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનને પોરબંદર જિલ્લામાં ઘણી સફળતા મળી રહી છે, વિવિધ કાર્યક્રમો, માર્ગદર્શન શિબિરો, સરકારી મેદસ્વિતા ક્લિનિક અને વિવિધ નિશુલ્ક યોગ વર્ગોનો લાભ લઈને પોરબંદર વાસીઓ સ્વાસ્થય મામલે સજાગ બન્યા છે. આમ યોગ દ્વારા મેદસ્વિતા મુક્તિ અંગે ડૉ. વી.આર. ગોઢાણીયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા, પોરબંદરના કો-ઓર્ડિનેટર જીવાભાઇ કરસનભાઈ ખૂંટી દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
જીવાભાઇ ખૂંટીએ જણાવ્યુ હતુ કે “મન કી બાત” કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મેદસ્વિતા મુક્ત ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે, તે માટે યોગ ઘણુ અસરકારક સાધન બની શકે છે. તેમણે જણાવ્યું કે યોગ આપણા શરીરને તંદુરસ્ત, દીર્ઘજીવી અને નિરોગી બનાવે છે.રોજબરોજના જીવનમાં સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ અને યોગિક વ્યાયામો મેદસ્વિતા મુક્તિ માટે ખૂબ મદદરૂપ બને છે. સાથે- સાથે સાત્વિક અને સંતુલિત આહાર લેવાનો પણ ખાસ ઉપદેશ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો. ખાસ કરીને એવા ખાદ્યપદાર્થોનું સેવન ટાળવું જોઈએ કે જેમાંથી ચરબી વધી શકે છે જેમ કે વધુ લોટવાળી વાનગીઓ, ઘી વગેરે.વધુમાં તેમણે કહ્યું કે જો આપણે નિયમિતપણે યોગ કરીએ અને ભોજનમાં થોડી જ કાળજી રાખીએ તો શરીર સાધારણ અને સ્વસ્થ રહે છે. રોજની દિનચર્યામાં સવારે યોગ તથા સૂર્ય નમસ્કાર અને રાત્રે સૂતા પહેલા ઓછી માત્રામાં ભોજન કરવાની ટેવ મેદસ્વિતા ઘટાડવામાં ખુબ સહાયરૂપ બને છે. ખાસ કરીને સૂર્ય નમસ્કારની વાત કરતા તેમણે જણાવ્યું હતુ કે “સૂર્ય નમસ્કાર એ સંપૂર્ણ વ્યાયામ છે, જે નિયમિત કરવાથી શરીર પાવરફુલ અને મેદસ્વિતા મુક્ત બને છે.”અંતે તેમણે અપીલ કરી હતી કે દરરોજ માત્ર એક કલાક આપણે આપણા શરીર માટે આપીએ એ આપણી ફરજ છે. તો નિયમિત આપણે યોગીક વ્યાયમ, સુર્ય નમસ્કાર કરીએ તો આપણુ શરીર તંદુરસ્ત, નિરોગી અને મેદસ્વિતા મુક્ત બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya