પાટણ, 24 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નંબર 8, કલ્યાણેશ્વરની પોળ, જૂના ગંજ બજાર નાકા પાસે રહેતા 66 વર્ષીય નરેન્દ્રભાઈ પંચાલનું રસ્તા પરના ખાડામાં તેમની સાયકલનું ટાયર ફસાતા થયેલા અકસ્માતમાં દુર્ઘટનાત્મક મોત થયું હતું. આ દુઃખદ ઘટના બાદ પાટણ શહેર કોંગ્રેસે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને મૃતકના પરિવારને વળતર આપવા તેમજ શહેરના દયનીય રસ્તાઓને લઈને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ આ મુદ્દો જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ઉઠાવ્યો હતો. તેમણે રસ્તાઓની ખરાબ સ્થિતિ તથા તંત્રની નિષ્ક્રિયતા પર કડક ટિપ્પણી કરી હતી. તેમના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં ખાડા પૂરવા ટ્રીમિક્સનો ઉપયોગ થયો છે, પણ યોગ્ય પ્રમાણમાં સિમેન્ટ અને રેતીનો અભાવ હોવાથી માત્ર મેટલ જ બચી રહે છે, જે ફરીથી અકસ્માતને આમંત્રિત કરે છે.
શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્રમાં પાંચ મુખ્ય માંગણીઓ રાખવામાં આવી છે: (1) તમામ બિસ્માર રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવું, (2) નિયમિત રીતે માર્ગોનું નિરીક્ષણ અને જાળવણી કરવી, (3) જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી, (4) જોખમી સ્થળોએ ચેતવણી બોર્ડ મૂકવા અને (5) મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર