ગાંધીનગર, 29 જુલાઈ (હિ.સ.) : કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ૧૦૪મી શિબિરના ૧૮ કોલેજના ૭૪ વિધાર્થીઓ અને ૫ વોલેન્ટિયર્સને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક, શાહીબાગ, અમદાવાદ ખાતે મુલાકાત કરાવાઈ હતી.
આ મુલાકાતનો મુખ્ય હેતુ યુવાનોને ભારતના એકતા અને અખંડિતતાના પાયાના સ્તંભ સમાન સરદાર પટેલના જીવનથી પ્રેરણા આપવાનો હતો. મેમોરિયલના દર્શનમાં યુવાનોએ સરદાર પટેલના જીવન ચરિત્ર, દેશસેવા અને બારડોલી સત્યાગ્રહ જેવા ઐતિહાસિક પ્રસંગોની માહિતી મેળવી હતી. સાથે મ્યુઝિયમમાં આવેલી દુર્લભ તસવીરો, દસ્તાવેજો અને વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા યુવાનોને એક જીવંત અનુભવ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન સરદાર પટેલના નેતૃત્વ ગુણધર્મો અને તેમના અવિસ્મરણીય યોગદાન અંગે ચર્ચા પણ યોજવામાં આવી હતી.
સમગ્ર મુલાકાતનું આયોજન સર્વ નેતૃત્વ વતી ડો. ધર્મેન્દ્ર પટેલ અને સૂરજ મુંઝાણી દ્વારા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ