જામનગર, 29 જુલાઈ (હિ.સ.) : જામનગરના ધ્રોલ તાલુકાના વાંકીયા સીમમાં રમતા રમતા ખેત મજુર પરિવારના ૩ બાળકો ખાડામાં ડુબી જતા મૃત્યુ નિપજતા ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી.
મળતી માહિતી મુજબ, ધ્રોલ તાલુકાના વાંકીયા ગામે મેરાભાઇ ઝાપડાની વાડીએ રહીને ખેતમજુરી કરતા મુળ મઘ્યપ્રદેશના ડુંગરીયા ગામના વતની વિનુભાઇ ગોરધનભાઇ ભંડોરીયાએ ગઇકાલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કર્યા મુજબ વિનુભાઇની ચાર વર્ષની પુત્રી શકીના અને બે વર્ષની પુત્રી ટીનુ તથા કેશુભાઇ ભીલનો ત્રણ વર્ષનો પુત્ર વિશાલ આ ત્રણેય બાળકો ગઇકાલે પોતાના રહેણાકની વાડીએ રમતા હતા અને રમતા રમતા પાણી ભરેલા ખાડામાં અકસ્માતે પડી જતા ડુબી ગયા હતા આ અંગેની જાણ થતા આજુબાજુના લોકો દોડી ગયા હતા, પાણીમાં ડુબી જવાથી ઉપરોકત ત્રણેય બાળકોના ક‚ણ મૃત્યુ નિપજયા હતા.
વાંકીયામાં વરસાદી પાણી ભરેલા ઉંડા ખાડામાં પડી જતા ડુબી જવાના કારણે ત્રણ બાળકોના ભોગ લેવાતા ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી, બનાવની જાણ થતા વાંકીયા ગામના સરપંચ સહિતના આગેવાનો હોસ્પીટલ પહોચ્યા હતા બનાવની જાણ થતા ધ્રોલ પોલીસ દ્વારા ત્રણેયના મૃતદેહને ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
વધુમાં મળેલી વિગત મુજબ શકીના અને ટીનુ આ બંને માસુમ બાળકીઓ સગી બહેનો છે, તેમના પિતા મુળ એમપીના વતની છે, જયારે વિશાલ નામના બાળકના પિતા મુળ છોટા ઉદેપુરના કોટલી ગામના અને હાલ વાંકીયા ખાતે ખેતમજુરી કરવા આવ્યા હતા. વિશાલ તેના પરિવારમાં એકનો એક પુત્ર હતો. બનાવના કારણે ખેતમજુર પરિવારમાં કાળો કલ્પાંત જોવા મળ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT