સુરત, 8 જુલાઈ (હિ.સ.)-સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સ દુકાનમાં લૂંટ અને ફાયરિંગની ગંભીર ઘટના સર્જાઈ છે. હુમલામાં વેપારી આશિષ રાજપરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ચાર આરોપીઓ લૂંટ માટે સુરતમાં આવ્યા હતા અને તેઓ બિહારના રહેવાસી છે. એક આરોપી ઘટના બાદ લોકોએ પકડીને માર માર્યો હતો, જ્યારે અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઘટનાના પગલે સમગ્ર સચિન બજાર શોકમગ્ન છે. વેપારીઓએ આશિષ રાજપરાને શ્રદ્ધાંજલિરૂપે 400થી વધુ દુકાનો બંધ રાખવાનું એલાન આપ્યું છે. સુરક્ષા વ્યવસ્થા ઉપર પ્રશ્નાર્થ ઊભા થતાં વેપારીઓએ બજાર વિસ્તારમાં પોલીસ ચોકી સ્થાપવાની માંગ ઊઠાવી છે.
દિલ દહલાવી નાખે તેવી આ ઘટના બાદ સાંસદ સંદીપ દેસાઈના વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની નબળી સ્થિતિ અંગે પણ ચર્ચા ચાલી રહી છે. લોકોએ આરોપીઓને કડકમાં કડક સજા આપવા માટે ગૃહ વિભાગ સમક્ષ માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે