પાટણ, 9 જુલાઈ (હિ.સ.) : સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે એક દુઃખદ ઘટના બની હતી. 70 વર્ષના ભુપતજી મોતીજી ઠાકોર નકળંગ ધામ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક આખલાએ હુમલો કર્યો હતો. આખલાએ અડફેટે લેતાં ભુપતજીને ગળા, માથા અને છાતી પર ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમના બુમરાડથી ગામમાં અફડાતફડી મચી ગઈ હતી.
ગામના યુવાનો તાત્કાલિક દોડી આવ્યા અને આખલાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખલાએ ફરી હુમલો કર્યો અને ભુપતજીને વધુ ઇજાઓ પહોંચાડી. ઇજાગ્રસ્ત હાલતમાં તેમને વહેલી તકે વાગડોદ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. ત્યારપછી વધુ સારવાર માટે તેમને પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં હાલ તેમની હાલત ગંભીર હોવાથી આઈસ્યુમાં રાખવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. બે દિવસ બાદ ગામના આશરે 50 લોકોએ ધોકા અને લાકડીઓ સાથે ભેગા થઈ આખલાની અનિયમિત અવરજવર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર