નવી દિલ્હી, 10 ઓગસ્ટ (હિ.સ.)ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને
દિલ્હીમાં તેમની પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવેલા દાવાઓની ચકાસણી કરવા માટે
દસ્તાવેજો સબમિટ કરવા કહ્યું છે. આ સંદર્ભમાં, મુખ્ય ચૂંટણી અધિકારી કર્ણાટકએ, લોકસભામાં વિરોધ પક્ષના
નેતા રાહુલ ગાંધીને નોટિસ જારી કરી છે. આ નોટિસ 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ
સાથે સંબંધિત છે.
ઉલ્લેખનીય છે કે, 7 ઓગસ્ટના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ ચૂંટણી
પંચ પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો આરોપ લગાવ્યો હતો. આના સમર્થનમાં, તેમણે કથિત રીતે
ચૂંટણી પંચના રેકોર્ડ પર જ પોતાની દલીલો રજૂ કરી હતી. રાહુલ ગાંધી ઘણા સમયથી
ચૂંટણી પંચ પર હુમલો કરી રહ્યા છે અને તેના પર મત ચોરીનો આરોપ લગાવી રહ્યા છે.
ચૂંટણી પંચ તેમને દરેક વખતે નકારી રહ્યું છે અને જવાબ આપી રહ્યું છે કે,” જો તેમની
પાસે આ સંદર્ભમાં કોઈ પુરાવા કે દસ્તાવેજો છે, તો તેમણે તે સબમિટ કરવા જોઈએ. તેમણે શપથ હેઠળ લેખિતમાં
ફરિયાદ તરીકે જે કહી રહ્યા છે તે પણ આપવું જોઈએ. પરંતુ રાહુલ ગાંધી ફક્ત જાહેરમાં
જ આરોપો લગાવે છે. તેથી જ આ વખતે ચૂંટણી પંચે નોટિસ જારી કરીને તેમની પાસેથી
દસ્તાવેજો માંગ્યા છે.”
રાહુલ ગાંધીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે,” ચૂંટણી
અધિકારીના રેકોર્ડ મુજબ, શકુન રાની નામના
મતદાતાએ બે વાર મતદાન કર્યું હતું.” ચૂંટણી પંચનું કહેવું છે કે,” તેમના કોઈપણ
અધિકારીએ આવો દસ્તાવેજ જારી કર્યો નથી.” પંચનું કહેવું છે કે,” તપાસ દરમિયાન શકુન
રાનીએ સ્પષ્ટપણે કહ્યું છે કે, તેમણે ફક્ત એક જ વાર મતદાન કર્યું છે. ઉપરાંત, પ્રાથમિક તપાસમાં
બહાર આવ્યું છે કે, રાહુલ ગાંધી દ્વારા ટિક માર્ક સાથે રજૂ કરાયેલ દસ્તાવેજ ચૂંટણી
અધિકારી દ્વારા જારી કરવામાં આવ્યો નથી.”
મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધીને શકુન રાની અથવા અન્ય
કોઈએ બે વાર મતદાન કર્યું હોવાના દાવા સાથે સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા વિનંતી કરી
છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, વિગતવાર તપાસ માટે આ દસ્તાવેજો જરૂરી છે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ