જામનગર, 10 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામ પાસે બુધવારની રાત્રે ત્રિપલ સવારીમાં જતા બાઈક આડે ખુંટીયો ઉતરતા ત્રણેય વ્યક્તિ ફેંકાઈ ગયા હતા. આ અકસ્માતમાં બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે અને ત્રીજાને ઈજા થઈ છે.
મળતી માહિતી મુજબ, લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામમાં આવેલા એક ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મુકેશ તેરસીંગ ડાવર (ઉ.વ.૩૦) તથા સિક્કાની જીઈબી કોલોનીમાં રહેતા ભરતસિંહ ભૂપતસિંહ જાડેજા (ઉ.વ.૬પ) નામના વૃદ્ધ તેમજ મુકેશ ડાવરના સાળા બુધવારે રાત્રે એક મોટરસાયકલમાં સિક્કાથી લાલપુર તરફ જઈ રહ્યા હતા. તેઓ જ્યારે ચાંદીગઢ રોડ પર રૂપાવટી હોટલ પાસે રાત્રે બારેક વાગ્યે પહોંચ્યા ત્યારે રોડ પર અચાનક આખલો આવી જતાં તેની સાથે બાઈક ટકરાઈ પડ્યું હતું.
બાઈક પરથી મુકેશ ડાવર તથા ભરતસિંહ જાડેજા સહિતના ત્રણેય વ્યક્તિ ફંગોળાઈ ગયા હતા. અકસ્માતના સ્થળે ધસી આવેલા અન્ય લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ કરી હતી. તે દરમિયાન ગંભીર ઈજા પામેલા ભરતસિંહ અને મુકેશ ડાવરનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મુકેશના સાળાને ઈજા થઈ છે. બનાવની યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતા દોડી આવેલી લાલપુર પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT