સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.) હિન્દુ શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને પુણ્ય કર્મ કહેવામાં આવ્યુ છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે અથવા સંપૂર્ણ તૈયારી સાથે વિવિધ પ્રકારના યજ્ઞોનું આયોજન કરે છે. પરંતુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ સ્થળએ કરી શકાય છે અને તે પણ માત્ર રૂ.25 ના નજીવા ખર્ચે.
માત્ર 25 ₹ માં ભાવિકોને યજ્ઞનો લાભ:
સામાન્ય રીતે કોઈ વ્યક્તિ યજ્ઞ કરવાનું વિચારે ત્યારે એક કુશળ પુરોહિત, ઘણી બધી સામગ્રી અને બીજી આનુસંગિક વ્યવસ્થા કરવાની જરૂર પડે છે. યજ્ઞ જેટલો મોટો તેટલી જ ભક્તોએ વધુ તૈયારીઓ કરવી પડે પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ આ બધી તૈયારીઓ કરવા સક્ષમ હોય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને દેશના યશસ્વી વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદી માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ ભક્તો માટે મહામૃત્યુંજય યજ્ઞની સેવાનો લાભ માત્ર 25 રૂપિયામાં આપવામાં આવી રહ્યો છે.
આહૂતિ દ્રવ્ય પણ ટ્રસ્ટ દ્વારા:
યજ્ઞમાં યજમાનને આહુતિ દ્રવ્ય રક્ષાસૂત્ર સહિતની સામગ્રી આપીને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જોડે છે. શાસ્ત્રો અનુસાર મહાદેવના સાનિધ્યમાં થઈ રહેલો આ મહામૃત્યુંજય યજ્ઞ ભક્તોને તેઓ રાજવી યજ્ઞ કરી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે.
શું છે મહામૃત્યુંજય યજ્ઞ પાછળની કથા?
ભગવાન શિવના ભક્ત ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે ઋષિ મૃકંડુને તેમની ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું પરંતુ ઋષિ મૃકંડુને કહ્યું હતું કે, પુત્ર તેના માટે જન્મેલા અલ્પજીવી હશે. જ્યારે શિવની કૃપાથી ઋષિ મૃકંડુને પુત્રનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર 16 વર્ષ હશે. આ સાંભળીને ઋષિ મૃકંડુ ચિંતિત થઈ ગયા હતા. ત્યારે તેમના પત્નીએ કહ્યું કે, જો મહાદેવની કૃપા હશે તો તેઓ આ વિધાનને પણ મુલતવી રાખશે. ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કંડેય રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો. માર્કંડેય હંમેશા શિવની ભક્તિમાં લીન રેહતા. જ્યારે અંતિમ સમય નજીક આવ્યો ત્યારે ઋષિ મૃકંડુએ તેમના પુત્ર માર્કંડેયને તેમના ટૂંકા જીવન વિશે જણાવ્યું સાથે જ તેમણે કહ્યું કે જો શિવજી ઈચ્છે તો તે મુલતવી રાખશે. તેમના પ્રત્યેની માતા-પિતાની ચિંતા દુર કરવા બાળ માર્કંડેયએ દીર્ઘાયુનું વરદાન મેળવવા માટે શિવજીની ઉપાસના શરૂ કરી દીધેલ તેમજ આયુષ્યનું વરદાન મેળવવા માટે મહામૃત્યુંજય મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું હતું.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥ અને શિવ મંદિરમાં બેસીને આ મંત્રના અખંડ જાપ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે સમય પૂરો થયો ત્યારે યમદૂત માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા પરંતુ તેમને શિવની તપસ્યામાં લીન જોઈને તેઓ પાછા યમરાજ પાસે આવ્યા અને આખી વાત કહી. પછી યમરાજ પોતે માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા હતા. ત્યારે યમરાજે માર્કંડેય પર પોતાનો પાશ છોડ્યો એ સમયે બાળ માર્કંડેય શિવલિંગને ભેટી ગયા હતા.
આવી સ્થિતિમાં યમરાજનો પાશ શિવલિંગ પર પડ્યો હતો. પોતાના ભક્ત પર યમરાજના આક્રમણથી શિવજી ખૂબ ગુસ્સે થયેલ અને ભગવાન શિવ બાળ માર્કંડેયને યમરાજથી બચાવવા પ્રગટ થયા હતા. યમરાજે તેમને વિધિના વિધાનની યાદ અપાવી તો શિવજીએ માર્કંડેયને લાંબા આયુષ્યનું વરદાન આપીને વિધિના લેખ બદલી નાખ્યા હતા. આવી છે મહાદેવના મહામૃત્યુંજય મંત્રની શક્તિ છે, જેનો યજ્ઞ સોમનાથ મંદિરના સાનિધ્યે ભક્તો માટે શરૂ કરાયો છે.
સોમનાથમાં મહામૃત્યુંજય યજ્ઞ વિશેષ:
મહામૃત્યુંજય યજ્ઞ લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. ખાસ કરીને પ્રભાસ ભૂમિ પર સોમનાથ મહાદેવે ચંદ્રદેવનો ક્ષય રોગ પણ મટાડ્યો હતો. ભગવાન કૃષ્ણ આ ભૂમિ પર તેમની છેલ્લી લીલા કરીને વૈકુઠ ગયા હતા. ભગવાન પરશુરામે આ ભૂમિને પોતાના તપોબળથી પુણ્યશાળી બનાવી છે. આવી સ્થિતિમાં સોમનાથ તીર્થમાં મહામૃત્યુંજય યજ્ઞ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં ભોલેનાથ ભક્તને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે છે.
યજ્ઞ સેવાનો લાભ લેતા ભક્તોમાં ઉત્સાહ:
સોમનાથ મહાદેવના દર્શન સાથે જ્યોતિર્લિંગની સામે બેસીને મહામૃત્યુંજય યજ્ઞનો લાભ લેનાર તમામ ભક્તો તેમના હૃદયમાં શીતળતા અને સકારાત્મક ઉર્જાનો અનુભવ કરે છે. અને અન્ય ભક્તોને પણ અનુુરોધ કરે છે કે તેઓ જ્યારે પણ સોમનાથ આવે ત્યારે મહામૃત્યુંજય યજ્ઞમાં અચૂક આહુતિ આપી જોડાઈ છે.
આપ પણ અવશ્ય લાભ લો:
તો હવે, જ્યારે પણ તમે સોમનાથ આવો ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિર સામે ચાલતા મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ આપીને પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ