સમય અને પરિસ્થિતિના કારણે દિવ્યાંગ બનેલા માનવીઓનું કલ્યાણ કરવું એ આપણું કર્તવ્ય
ભુજ – કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ સૌનું સામાજિક ઉતરદાયિત્વ છે એમ ભચાઉમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા વિકલાંગોને આપવામાં આવેલી આધુનિક સાધનોની અર્પણવિધિ વખતે કહ્યું હતું. સમય અને પરિસ
ભચાઉમાં રાજ્યપાલની હાજરીમાં દિવ્યાંગોને સાધન સહાય


ભુજ – કચ્છ, 11 ઓગસ્ટ (હિ.સ.) દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ સૌનું સામાજિક ઉતરદાયિત્વ છે એમ ભચાઉમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા વિકલાંગોને આપવામાં આવેલી આધુનિક સાધનોની અર્પણવિધિ વખતે કહ્યું હતું. સમય અને પરિસ્થિતિના કારણે દિવ્યાંગ બનેલા માનવીઓનું કલ્યાણ કરવું એ આપણું કર્તવ્ય છે. અંગો વિનાનું જીવન ખૂબ મુશ્કેલ બની જાય છે. સ્વસ્થ શરીર ધરાવતા લોકોએ ઈશ્વરનો આભાર માનવો જોઈએ.

ભચાઉમાં સાધન સહાય વિતરણ સમારોહમાં રાજ્યપાલની હાજરી

ભચાઉ ખાતે વિકલાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદેથી સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ માતા-પિતા માટે પડકારરૂપ બની છે. દિવ્યાંગજનો સમાજનું અભિન્ન અંગ હોવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. તેમણે જેને જરૂરિયાતમંદ માટે દયાભાવ પ્રગટ ન થાય તે મનુષ્ય પથ્થર સમાન છે તેવું કહી મનુષ્ય અવતારમાં પરોપકાર માટે સત્કાર્ય કરીને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરવા રાજ્યપાલે આહવાન કર્યું હતું. નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવવાનાં કાર્યને રાજ્યપાલે આવકારીને કહ્યું હતું કે, આ પ્રયાસોથી દિવ્યાંગોમાં એક નવો ઉત્સાહ ઊભો થશે, માનસિક રીતે મજબૂત બનશે અને બીજા નાગરિકોની જેમ સક્ષમ બનશે. દિવ્ગાંગજનોને મુખ્ય ધારામાં લાવવા એ સૌનું સામાજિક ઉતરદાયિત્વ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

માનવજીવોનાં કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય

પ્રાકૃતિક ખેતી અંગેનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ એ રાષ્ટ્રીય મિશન બની ગયું છે. તેમણે માનવજીવોનાં કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ માટે રાજ્ય સરકારના પ્રયાસોને બિરદાવી લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા હોવાનું તેમણે કહ્યું હતું. કાર્યક્રમમાં મનોદિવ્યાંગ બાળકોએ રજૂ કરેલાં સ્વાગત ગીતની પ્રસ્તુતિને મહેમાનોએ બિરદાવી હતી.

કચ્છ સૌરાષ્ટ્ર માટે વટવૃક્ષ બની 32 વર્ષ પહેલાં સ્થાપિત સંસ્થા

નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાના સંસ્થાપક વિશાલભાઈ જોશીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન સંસ્થાનાં કાર્યો વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 32 વર્ષ પહેલાં સ્થાપિત આ સંસ્થાનું બીજ આજે કચ્છ અને સૌરાષ્ટ્રના દિવ્યાંગજનનાં કલ્યાણ માટેનું વટવૃક્ષ બન્યું છે. દિવ્યાંગજનોને સક્ષમ બનાવવા માટે સંસ્થા અવિરત સેવાકાર્યો કરતી રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સામાજિક અધિકારીતા વિભાગનો મળ્યો સહયોગ

આ વેળાએ રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ જૈન, સામાજિક કાર્યકર્તા રૂદ્રરાજાસિંહ મહારાજ, પ્રાકૃતિક કૃષિના પ્રગતિશીલ ખેડૂત રતિલાલ શેઠિયા, કચ્છ કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, નાયબ કલેક્ટર બી.એચ.ઝાલા, દાતાઓ, દિવ્યાંગજનો સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આરંભમાં સંસ્થાના મુંબઈ સ્થિત ઓસવાળ સમાજના તબીબ ડો. મનસુખ જૈને સ્વાગત પ્રવચન કર્યું હતું. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના આર્થિક સહયોગથી અને આર્ટીફિશિયલ લિમ્બ મેન્યુફેકચરિંગ કોર્પોરેશનના તકનિકી સહયોગથી 50 લાખના ખર્ચે સાધનોનું વિતરણ કરાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande