કુલગામ, નવી દિલ્હી, 11 ઓગસ્ટ
(હિ.સ.) જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલના જંગલમાં આતંકવાદીઓને મારવા
માટે સુરક્ષા દળોનું ઓપરેશન સોમવારે 11મા દિવસે પણ ચાલુ રહ્યું. સુરક્ષા દળો
ઘેરાબંધી કડક કરી રહ્યા છે જેથી આતંકવાદીઓ ગાઢ જંગલમાં ગોળીબાર કરીને સ્થળ પરથી
ભાગી ન શકે. અધિકારીઓએ જણાવ્યું કે,” આ ખીણમાં સૌથી લાંબી આતંકવાદ વિરોધી
કાર્યવાહીમાંની એક છે.”
અત્યાર સુધીમાં, આ કાર્યવાહીમાં બે સેનાના જવાનોએ પોતાના જીવનું બલિદાન
આપ્યું છે અને 9 સૈનિકો ઘાયલ થયા છે. જ્યારે કાર્યવાહીની શરૂઆતમાં બે આતંકવાદીઓ
માર્યા ગયા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે,” આ જંગલ વિસ્તારમાં ત્રણ સ્થળોએ, 8 આતંકવાદીઓ
છુપાયેલા છે.જેઓ દિવસ દરમિયાન
ગોળીબાર કરવાનું ટાળી રહ્યા છે પરંતુ રાત્રે ભાગી જવા માટે ભારે ગોળીબાર કરી રહ્યા
છે. અખલનું આ જંગલ, ખૂબ જ સમૃદ્ધ છે જ્યાં ઘણી કુદરતી ગુફાઓ છે, જેમાં આ આતંકવાદીઓ
છુપાયેલા છે.”
સુરક્ષા દળો જંગલ વિસ્તારમાં આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન
અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. છુપાયેલા આતંકવાદીઓને ઠાર કરવામાં પેરા
કમાન્ડો પણ સુરક્ષા દળોને મદદ કરી રહ્યા છે.
દક્ષિણ કાશ્મીર જિલ્લાના અખલના જંગલમાં, આતંકવાદીઓની હાજરી
અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ 1 ઓગસ્ટના રોજ કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યા બાદ શરૂ
થયેલી અથડામણમાં, અત્યાર સુધીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા
આતંકવાદીઓની ઓળખ અને જૂથ હજુ સુધી જાણી શકાયું નથી.
સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને ગાઢ જંગલોમાં
છુપાયેલા આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીર પોલીસ વડા
નલિન પ્રભાત અને આર્મી નોર્ધન કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા સહિત વરિષ્ઠ
પોલીસ અને સેનાના અધિકારીઓ ચોવીસ કલાક આ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ