પાટણ, 13 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લામાં ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 2.07 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. ખેતીવાડી અધિકારી જીગ્નેશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે 3 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનો અંદાજ છે.
છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદી માહોલને કારણે વાવેતરની ગતિ ધીમી પડી હતી, પરંતુ હવે વાદળો વિખેરાતા અને સૂર્યનારાયણના દર્શન થતાં જમીનમાં વરાપ આવી ગયો છે. આ અનુકૂળ પરિસ્થિતિમાં ખેડૂતો વિવિધ ખરીફ પાકોની વાવણી કરી રહ્યા છે.
ઓગસ્ટ મહિનો દિવેલાના વાવેતર માટે યોગ્ય હોવાથી મોટા પ્રમાણમાં ખેડૂતો દિવેલાનું વાવેતર શરૂ કરી ચૂક્યા છે. વરસાદે વિરામ લેતાં ખેતીકામમાં ફરી તેજી આવી છે અને ખેતરોમાં હરિયાળીનું દ્રશ્ય સજીવ બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર