મોડાસા, 13 ઓગસ્ટ (હિ.સ.)બાળકો માટે તેમના શિક્ષકો જ આદર્શ હોય છે. બાળકો શિક્ષકો પાસેથી ભણતરની સાથે જિંદગીના અનેક ગુણો પણ શીખતા હોય છે. તેમના આદર્શને અનુસરીને તેઓ પોતાની જિંદગી વિતાવતા હોય છે. આવા જ બાળકોને દેશપ્રેમ અને વતન તરફ પોતાની ફરજ સમજાવવા અરવલ્લીના શિક્ષકો આગળ આવ્યા છે.
આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની સાથે તાજેતરના સફળ ઓપરેશન સિંદૂરની સફળતાને પણ ઠેર ઠેર બિરદાવવામાં આવી રહી છે. આ સફળતાને બિરદાવવા રાજ્યમાં અને જિલ્લામાં ઠેરઠેર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે મોડાસા શહેરના ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે શિક્ષકો માટે ખાસ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે આ કેમ્પ દરમિયાન અંદાજિત ૨૦૦ પાઉચ રક્ત એકત્ર કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નૈનેશ દવે અને જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીશ્રી ઉષાબેન ગામીતની આગેવાનીમાં આ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.
આગામી ૧૪ ઓગસ્ટના રોજ મોડાસાના મહાલક્ષ્મી ટાઉનહોલ અને જિલ્લા પંચાયત ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજવા જઈ રહ્યો છે. આ કેમ્પમાં મોટીસંખ્યામાં લોકોને જોડાવા જિલ્લા વહીવટી તંત્ર વતીથી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીક અને જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયાએ લોકોને અપીલ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ