વડોદરા, 14 ઓગસ્ટ (હિ.સ.): ડભોઇ-વડોદરા રોડ પર આવેલી શ્રી રામ ટીમ્બર્સ એન્ડ સેન્ટરિંગમાં બનેલી લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાપ્ત વિગતો મુજબ, દુકાનના માલિક દરગારામ પીરારામ સુથાર દુકાનમાં રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા, તે દરમ્યાન ચાર બુકાનીધારી અજાણ્યા લૂંટારાઓ અચાનક ત્યાં પહોંચી ગયા હતા. લૂંટારાઓએ પ્રથમ માલિક પર હુમલો કરી તેમને કાબુમાં લીધા બાદ દુકાનમાં રાખેલી રોકડ રકમ પર હાથ ફેરવી લીધો હતો. કુલ રૂ. 47,000ની રોકડ લૂંટીને આ ચારેય શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘટના સમયે આસપાસના વિસ્તારોમાં લોકો હાજર હોવા છતાં લૂંટારાઓએ એટલી ઝડપથી કૃત્ય અંજામ આપ્યો કે કોઈને પ્રતિક્રિયા આપવા નો મોકો જ મળ્યો નહીં. માલિકને થયેલી ઈજાને પગલે તેમને પ્રાથમિક સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ડભોઇ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સંપૂર્ણ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં નાકાબંધી ગોઠવી, સીસીટીવી ફૂટેજ મેળવવા માટે પ્રયત્નો હાથ ધરાયા છે જેથી લૂંટારાઓની ઓળખ કરી શકાય.
પ્રારંભિક તપાસમાં ખુલ્યું છે કે લૂંટારાઓએ ચહેરા પર બુકાની બાંધી હતી જેથી તેમની ઓળખ છુપાઈ રહે. પોલીસને શંકા છે કે આ કૃત્ય પૂર્વ આયોજનબદ્ધ હતું અને લૂંટારાઓએ દુકાનના સમય તથા માલિકની રોજિંદી હિલચાલ અંગે અગાઉથી માહિતી મેળવી હતી. આ બનાવને કારણે સ્થાનિક વેપારીઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ ઉઠી રહી છે. ડભોઇ પોલીસ દ્વારા ગુનાહિત કૃત્ય અંજામ આપનાર શખ્સોને ઝડપી લેવા તજવીજ ચાલુ છે, તેમજ નજીકના વિસ્તારોમાં છાનબીન શરૂ કરવામાં આવી છે. પોલીસએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ હલચલ દેખાય તો તાત્કાલિક જાણ કરવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya