જામનગર, 14 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર તાલુકાના સિક્કા ગામમાં વસવાટ કરતા એક વિધવા મહિલાની ગઈકાલે કરપીણ હત્યા કરી નાખવામાં આવી છે. આ મહિલાને ધારદાર હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાનું બહાર આવી રહ્યું છે. બનાવની પોલીસને જાણ કરાતા સિક્કા પોલીસનો કાફલો દોડી ગયો છે.
આ બનાવની વધુ વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા ગામમાં એક વિધવા મહિલા પોતાના બે સંતાન સાથે વસવાટ કરે છે. પતિના અવસાન પછી બંને સંતાનોને ઉછેરવાની જવાબદારી ઉઠાવી રહેલા આ મહિલા સાથે થોડા સમય પહેલાં એક હોટલ સંચાલક આવ્યો હતો. તે પછી બંને વચ્ચે પરિચય વધ્યો હતો.
તે દરમિયાન ગઈકાલે રાત્રે છત્રીસેક વર્ષના આ મહિલાની હત્યા કરી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. તે મહિલાને કોઈ ધારદાર હથિયારથી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયા છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ધસી ગયો છે. તે મહિલાને તેની સાથે સંપર્કમાં રહેલા હોટલ સંચાલકે મોત આપ્યું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે. મૃતદેહને પોલીસે પીએમ માટે જામનગર ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt