ભુજ – કચ્છ, 16 ઓગસ્ટ (હિ.સ.) 14 મી ઓગસ્ટ એટલે વિભાજન વિભિષિકા દિવસ. આ દિવસે ભારતનું વિભાજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં માનવ વિસ્થાપન તેમજ બળજબરીપૂર્વક સ્થળંતર કરાવવા સહીતની અનેક પીડાદાયક ઘટનાઓ ભારતવર્ષનાના ઇતિહાસમાં ઘટી હતી. રાષ્ટ્રના ઇતિહાસના આ દુઃખદ વિષયો અંગેની માહિતી ભુજમાં ભાજપના વક્તાઓ દ્વારા વિસ્તારથી આપવામાં આવી હતી.
વિશાળ મશાલ રેલીનું આયોજન કરાયું
કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાનીમાં લોહાણા મહાજન વાડીથી હમીરસર તળાવની સામે પેન્શનર ઓટલા સુધીની એક વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીથી અગાઉ આ અંગે માહિતી આપવા એક પ્રદર્શની અને વકતવ્ય કાર્યક્રમ પણ જીલ્લા ભાજપના નેજા હેઠળ લોહાણા સમાજવાડીના હોલ મધ્યે રાખવામાં આવ્યા હતા.
વડાપ્રધાન દ્વારા લોકોને સચોટ અને વાસ્તવિક માહિતી પહોંચાડવાનો હેતુ
મુખ્ય વક્તા તરીકે પ્રદેશ ભાજપના આગેવાન અને મોરબી જિલ્લા ભાજપ પ્રભારી હિતેશ ચૌધરીએ સર્વેને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે 14મી ઓગસ્ટ 1947 ના દિવસે પંજાબ, સિંધ સહિત અનેક પ્રાંતોમાં ભારે કત્લેઆમ થયો હતો તેમજ કેટલાય લોકોને બળજબરીપૂર્વક સ્થળંતર કરવા મજબૂર કરવામાં આવ્યા. આ રીતે આ વિભાજનનો દિવસ એ ભારત માટે કાળો દિવસ છે પરંતુ આઝાદી પછી અનેક દાયકાઓ સુધી આ દિવસને ભુલાવી દેવામાં આવ્યો હતો. પરંતુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિભાજન વિભિષિકા દિવસની દર્દનાક સ્મૃતિઓને પુનઃજીવિત કરીને કેવા કરુણ સંજોગોમાં આઝાદી મળી છે તેનાથી લોકોને સચોટ અને વાસ્તવિક માહિતી મળી રહે એ હેતુથી આજના દિવસે આ વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે.
વિસ્થાપિત થયેલા કેટલાક નાગરિકોનું સન્માન
આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદે જણાવ્યું હતું કે, આ દિવસ ભારત માટે કાળો દિવસ છે અને આ દિવસે બનેલી પીડાદાયક ઘટનાઓને લોકોના ધ્યાન પર મુકવાના આશયથી કાર્યક્રમ યોજાયો છે. આ દિવસ અંતર્ગત ભાગલા વખતે વિસ્થાપિત થયેલા નાગરિકો પૈકી સ્વરૂપસિંહ ચમનસિંહ સોઢા, સતીદાનસિંહ કરસનજી સોઢા, બહાદુરસિંહ વેજરાજસિંહ સોઢા, પ્રવિણસિંહ સોઢા, સુરોજી સોઢાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
નિવૃત સેના જવાનોને પણ બિરદાવાયા
રાષ્ટ્ર રક્ષા કાજે ફરજ બજાવનાર પૂર્વ સૈનિકો જેવા કે રિટાયર્ડ એસએસબી જવાન હરદેવસિંહ જાડેજા, રીટાયર્ડ હોમગાર્ડ કમાન્ડન્ટ અને મુખ્યમંત્રી એવોર્ડ મેળવનાર સી.એમ. ગરોડા, પેરામીલીટરી અને એસએસબીના પૂર્વ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ખીમજીભાઇ સોઢા તથા રિટાયર્ડ આર્મી મેન બલભદ્રસિંહ જાડેજાને પણ આ તબક્કે તેમની સેવાઓ અને અદકેરા રાષ્ટ્રપ્રેમ માટે અનહદ અહોભાવથી સન્માનવામાં આવ્યા હતા.
ધારાસભ્યો સહિતના આગેવાનો સામેલ થયા
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો પંકજ મહેતા, રમેશ મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ભુજ નગરપાલિકાના પ્રથમ નાગરિક રશ્મિબેન સોલંકી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઇ જોધાણી મંચસ્થ રહ્યા હતા. વિભીષિકા કાર્યક્રમના ઇન્ચાર્જ અને ભુજ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતાએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતન કતિરાએ જણાવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA