સુરત , 16 ઓગસ્ટ (હિ.સ.)-સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં સહારા દરવાજા નજીક એક યુવકની ચપ્પુના ઘા મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં તંગદિલી અને સનસનાટી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ, હત્યા પાછળ અંગત અદાવતનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. હાલ મૃતક યુવકની ઓળખ તથા હત્યાના મૂળ કારણ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
મહિધરપુરા પોલીસે હત્યા ગુનો દાખલ કરી તાત્કાલિક તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવા સાથે સ્થાનિકોની પૂછપરછ પણ શરૂ કરી છે.
આ ઉપરાંત, પોલીસે ઘટના સ્થળેથી હત્યા માટે વપરાયેલ હથિયાર સહિતના પુરાવા જપ્ત કર્યા છે. ઘટનાની ગંભીરતા જોતા મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને આરોપીઓને વહેલી તકે પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે