પાટણ, 17 ઓગસ્ટ (હિ.સ.)પાટણ તાલુકાના બાલીસણા ગામમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નાગરવાડો, દુધેશ્વર મહાદેવ મંદિર, રામજી મંદિર, ગોવર્ધનનાથજી મંદિર સહિતના મંદિરોને ફૂલો અને લાઈટોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. રાત્રે ૧૨ વાગ્યે હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે મંદિરોમાં ઉમટ્યા હતા.
ઉજવણીમાં મટકી ફોડ, કીર્તન-ભજન, બાળલીલાઓ તેમજ પરંપરાગત ગરબા અને ફટાકડાની આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિગીતો અને ભજનોના સ્વરથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું.
ગામના દરેક ખૂણેથી નંદ ઘેર આનંદ ભયો અને જય કનૈયાલાલ ના જયઘોષ સંભળાતા હતા. ફટાકડાની ચમકથી આખું બાલીસણા ગામ ઝળહળી ઉઠ્યું અને ભક્તિ, ઉત્સવ તથા સંસ્કૃતિનો અદભૂત સંગમ સર્જાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર