ગાંધીનગર, 10 સપ્ટેમ્બર (હિ.સ.) : સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ‘૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ – અમદાવાદ ૨૦૨૫’ માટે સત્તાવાર જર્સીનું અનાવરણ યુવા, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે સેક્ટર-૨૧ જીમખાના, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.
હર્ષભાઈ સંઘવીએ જર્સીનું અનાવરણ કરતા જણાવ્યું હતું કે, ભારતના એથલિટ્સે વિવિધ આંતર રાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે અને વિશ્વ મંચ પર ભારતનો તિરંગો લહેરાવ્યો છે. ગુજરાતના યુવાનો આગામી ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’માં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા ભારતની ટીમમાં વધુ પ્રબળ સ્વિમર્સને મોકલવાનો રાજ્ય સરકારનો દ્રઢ નિશ્ચય છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત માટે આ સૌભાગ્યની વાત છે કે રાજ્યને અનેક મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે યજમાન બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. આ ટુર્નામેન્ટસમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતની પાવન ધરતીને ૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ માટે પસંદ કરી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડવા મંત્રીશ્રીએ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘૧૧મી એશિયન અક્વાટિક્સ ચેમ્પિયનશિપ’ તા.૨૮ સપ્ટેમ્બરથી ૧૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અમદાવાદ ખાતે યોજાવવા જઈ રહી છે જેમાં ૩૦થી વધુ દેશોના ખેલાડીઓ ભાગ લેશે. આ ચેમ્પિયન શિપ ‘એશિયન ગેમ્સ ૨૦૨૬’ માટે ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ સાબિત થશે.
આ પ્રસંગે, અર્જુન એવોર્ડી અને ડબલ ઓલિમ્પિયન ઓલિમ્પિયન સાજન પ્રકાશ, ડબલ ઓલિમ્પિયન શ્રીહરી નટરાજ, ૨૦૨૩ એશિયન ગેમ્સ સ્વિમર્સ કુશાગ્ર રાવત, અદ્વૈત પેજ અને પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક્સમાં ભારતના સૌથી સ્વીમર ધિનિધી દેસિંઘુ તેમજ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સચિવ મોનલ ચોકસી હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ