પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)માધવપુરની શેઠ એન.ડી.આર સરકારી હાઈસ્કૂલ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા એન.ડી.આર.એફ. ની ટીમ દ્વારા આપત્તિ સમયે કઈ રીતે પોતાની સુરક્ષા કરવી અને અન્ય લોકોને પણ મદદરૂપ બની શકાય તે માટેનો ડેમો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને તેમજ સ્ટાફને આપત્તિ સમયે જરૂરી પ્રાથમિક સારવાર અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
વિદ્યાર્થીઓને આપત્તિ સમયે સ્વસહાય અને પરસ્પર સહાય દ્વારા જીવન બચાવવાના કૌશલ્ય વિશે પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. અને આ કાર્યક્રમમાં એન.ડી.આર.એફ.ની કામગીરી,આપત્તિ અને તેના પ્રકારો એનડીઆરએફ અને ડીએમ એક્ટની રજૂઆત , રક્તસ્રાવ નિયંત્રણ તકનીકો,સીપીઆર,ભૂકંપ સમયે સલામતી,બિન-ઇમરજન્સી-ઇમરજન્સી ચાલ,અગ્નિશામક સાધનનો ડેમો,અગ્નિશામકનો ઉપયોગ, સર્પદંશની પ્રાથમિક સારવાર તેમજ દર્દીને સુરક્ષિત રીતે લિફ્ટ અને સ્થળાંતરિત કરવાની પદ્ધતિ અને આપત્તિ સંબંધિત એપ્લિકેશન્સ જેવા વિષયો કવર કરવામાં આવ્યા હતા. અને એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર વેદપ્રકાશ દ્વારા વિવિધ સાધનોના ઓપરેટ કઈ રીતે કરી શકાય તેનો પ્રેક્ટિકલ ડેમો બતાવવામાં આવ્યો હતો.
આ અવસર પર આચાર્ય વી.ડી જોષી, તથા માધવપુર ગ્રામ પંચાયતના સરપંચ ભનુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. અને વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ સહિત કુલ 691 જેટલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, સ્ટાફ તથા નાગરિકોએ ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya