પોરબંદર, 11 સપ્ટેમ્બર (હિ.સ.)ગુજરાતમાં વિવિધ સમાજો, ખેડૂતો, વિધાર્થીઓ, શિક્ષકો તથા અન્ય સંગઠનો ધ્વારા વિવિધ માંગણીઓ સબબ આંદોલનો, દેખાવો થવાની સંભાવના રહેલ છે. તે અનુસંધાને અમલમાં રહેલ પ્રતિબંધોને ધ્યાનમાં લઇ પોરબંદરમાં પણ આંદોલનો અને દેખાવો થવાની શકયતાને નકારી શકાય નહી તેમજ અન્ય મુદાઓ પરત્વે વિવિધ સામાજિક અને અન્ય પ્રકારના જુથો દ્વારા પ્રદર્શન રેલીઓ કાઢવાની ચેષ્ટાઓ થઇ શકે છે અથવા આકસ્મિક કાર્યક્રમો થવાની શક્યતાને કારણે જાહેર સુલેહ શાંતિ ભંગ થવાની શક્યતાને નકારી શકાય નહી. પોરબંદર જિલ્લામાં આકસ્મિક અને સ્વયંભૂ રીતે યોજાતી સભા, સરઘસ, રેલી, ધરણા, ઉપવાસ જેવા કાર્યક્રમો વખતે આગમચેતીના પગલા રૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પોલીસની કામગીરીમાં મદદરૂપ થઇ શકે તે માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે બી વદર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-37 ની પેટા કલમ-3 થી હેઠળ સમગ્ર પોરબંદર જિલ્લા વિસ્તારમાં તા.10/09/2025થી તા.23/09/2025 સુધી બંને દિવસો સહિતની મુદત માટે આંદોલન, દેખાવ, વિરોધ પ્રદર્શન, રેલી કે સરધસ કાઢવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.
આ હુકમ સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમો,ફરજ ઉપર હોય તેવી ગૃહરક્ષક મંડળી,સરકારની નોકરીએ અવરજવર કરતી હોય તેવી વ્યકિત, લગ્નનો વરઘોડો, સરકારશ્રી તરફથી યોજવામાં આવતા કાર્યક્રમોને લાગુ પડશે નહી.
આ હુકમનું પાલન ન કરનાર અથવા તેનું પાલન ન કરવામાં કોઇને મદદ કરનાર ગુન્હો સાબિત થયે સદરહુ અધિનિયમની કલમ-135 ની પેટા કલમ-૩ મુજબ રૂા. 200/- સુધીના દંડની શિક્ષાને પાત્ર ઠરશે. તેમજ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 મુજબ ગુન્હો સાબિત થયે તે વ્યકિતને છ માસની સાદી કેદ અથવા રૂા.2,500/- સુધીના દંડ અથવા બંને શિક્ષા થઇ શકે અને હુકમની અવગણનાથી માનવજીવન અથવા સ્વાસ્થ્ય અથવા સલામતિ માટે કોઇપણ ભય ઉત્પન્ન કરે અથવા કોઇ હુલ્લડ કરે કે બખેડો કરે તેવી વ્યકિતને એક વર્ષની કેદ અથવા રૂા.5,000/- (પાંચ હજાર) સુધીના દંડ સહિતની બંને શિક્ષાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya