ગીર સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)
ખેડૂતોને ઉત્પાદિત જણસીઓના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારશ્રીએ વર્ષ:૨૦૨૫-૨૬ના ખરીફ પાકો મગફળી માટે રૂ.૭૨૬૩, મગ માટે રૂ.૮૭૬૮, અડદ માટે રૂ.૭૮૦૦ તથા સોયાબીન માટે રૂ.૫૩૨૮ પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવો જાહેર કર્યા છે.
બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પી.એમ.આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજયમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જે અંગે ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકારશ્રી મારફત કરવામાં આવેલ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે તા.૦૧-૦૯-૨૦૨૫ થી તા.૧૫-૦૯-૨૦૨૫ સુધી ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ (VCE) મારફતે કરવામાં આવશે.
નોંધણી માટે ખેડૂત દ્વારા આધાર કાર્ડની નકલ/આધાર નોધણી નંબર અને તે અંગેનો પુરાવો, અદ્યતન 7-12, 8-અની વિગતો, ફોર્મ નં.12 અથવા પાક વાવણીનો તલાટીશ્રીનો દાખલો, બેન્ક ખાતાની(આધાર સીડેડ) વિગત, વગેરે સાથે જે તે ગામના ઇ-ગ્રામ સેન્ટર ખાતે હાજર થઈ વી.સી.ઈ (VCE) મારફતે ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
ચાલુ વર્ષે દરમ્યાન પાકના વાવેતરના પુરાવા રૂપે એગ્રીસ્ટેક પ્રોજેકટ સબબ ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેકટ હેઠળ જે ખેડૂતોએ ખેડૂત નોંધણી કરાવેલી હોય તેવા ખેડૂતો ડીજીટલ ક્રોપ સર્વે અંતર્ગત પોતાના ખેતરનો જાતે સર્વે કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ