સોમનાથ 2 સપ્ટેમ્બર (હિ.સ.)
શ્રાવણીયા શિવોત્સવ દરમિયાન 30 દિવસમાં 16.17 લાખ થી વધુ ભક્તોએ
સોમનાથ મહાદેવના દર્શન કર્યા
વંદે સોમનાથ કલા મહોત્સવ અંતગર્ત સોમનાથની સદીઓ જૂની નૃત્ય આરાધના
પરંપરા પુનઃ સજીવન કરાઈ
મંગળવાર
શ્રાવણ માસનો પ્રારંભ તા.25 જુલાઈ રોજ થયેલ અને તા.23 ઓગસ્ટના રોજ શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણીમા,ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગીયારસ, માસિક- શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા. આ શ્રાવણ નવા પ્રકલ્પોના પ્રારંભ સાથે વિશેષ રહ્યો હતો, જેમાં અનેક નવી પહેલ ને કારણે યાત્રી સુવિધાઓ વધુને વધુ સુલભ બની હતી.
છેલ્લા 4 વર્ષમાં સર્વાધિક ભક્તોની સંખ્યા:
સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 16.17 લાખથી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. તો સાથેજ 50 થી વધુ દેશોમાં 18.32 કરોડ ભક્તોએ વિશ્વના ખૂણે ખૂણે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સોમનાથ તીર્થમાં ખાસ કરીને શ્રાવણના સોમવારો, પૂનમ, માસિક શિવરાત્રી અમાસ દરમ્યાન યોજાતી પાલખીયાત્રા મોટું આકર્ષણ બની હતી, આ સાથે જન્માષ્ટજમી પર શ્રાવણની સર્વાધિક 1.73 લાખ જેટલી દર્શનાર્થીઓની મેદની ઉમટી હતી. માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.
સિનિયર સિટીઝન અને દિવ્યાંગ માટે રિચઆઉટ અભિગમ:
શ્રી સોમનાથ મંદિરની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ વર્ષોથી આદર્શ રીતે દિવ્યાંગો અને સિનિયર સિટીઝનોને સેવા પૂરી પાડી રહી છે. પરંતુ તેમાં પણ એક ડગલું આગળ જઈને ટ્રસ્ટ દ્વારા પ્રથમ વખત એનાઉન્સમેન્ટ ટાવર અને રીચઆઉટ પ્રોગ્રામ અંતર્ગત વિશેષ સ્ટાફ અને સ્વયંસેવકો ગોઠવીને સીનીયર સીટીઝનને સામેથી અપ્રોચ કરી તેઓને ટ્રસ્ટની દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ જેવી કે ગોલ્ફકાર્ટ, અટેન્ડી, વીલચેર વિશે માહિતગાર કરી તેનો લાભ લેવા માટે પ્રેરણ આપવામાં આવી હતી જેના ફળ સ્વરૂપે 20,000 થી વધુ સીનીયર સીટીઝનો ને ટ્રસ્ટ દ્વારા સાથે રહીને કોઈપણ કતારમાં ઊભ્યા વગર સુચારું દર્શન કરાવવામાં આવ્યા હતા. પ્રજ્ઞાચક્ષુ ટ્રસ્ટ હોય કે પછી મનો દિવ્યાંગ સેવા સંસ્થાઓ શ્રાવણમાં સોમનાથના દ્વારે આવનાર પ્રત્યેકને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગના નાથ સોમનાથ ના સૂત્ર સાથે ઉત્તમ સેવા પૂરી પાડવામાં આવી હતી.
પૂજાકાર્યોમાં વૃદ્ધિ:
શ્રાવણ માસ પર્યન્ત દેવાધિદેવ સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા 800 થી વધુ ધ્વજા રોહણ, 1200 જેટલી સોમેશ્વર મહાપૂજન, 9797 રૂદ્રાભિષેક, સહિતની પુજાવિધિ સાથે શ્રદ્ધાળુ પરીવારો ધન્ય બનેલા હતા. શ્રાવણ માસ પર્યન્ત શ્રી સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. જેના કારણે માસ પર્યન્ત હજારો પરીવારોએ મહામૃત્યુંજય યજ્ઞમાં ભાગ લઇ ધન્ય બનેલા. પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને 2.75 લાખ યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી.
ભોજન પ્રસાદની અવિરત સેવા:
સોમનાથ મહાદેવના દર્શને આવનાર કોઈપણ ભક્ત ભૂખ્યું ન જાય એ ધ્યેય વાક્ય બનાવીને સોમનાથ ટ્રસ્ટે વધુમાં વધુ ભક્તોને ભોજન પ્રસાદનો લાભ આપ્યો છે. શ્રી સોમનાથ ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં 1.75 લાખ થી વધુ ભક્તોએ ભોજનપ્રસાદ આરોગી ધન્યતા અનુભવી હતી, આ ઉપરાંત વિવિધ સામાજીક સંસ્થાઓ, ભક્તો દ્વારા શ્રાવણ માસ દરમીયાન હજારો યાત્રીઓને ફલાહાર કરાવવામાં આવેલ.
બાળકોને મળ્યો સોમનાથનો પોષણ પ્રસાદ:
રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્ પટેલ શ્રીસોમનાથ મહાદેવના દર્શને પધારેલ હતા ત્યારે તેઓશ્રીના શુભહસ્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા પોતાના હાથે ભૂલકાંઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7,00,000 લાડુ આંગણવાડીના ભૂલકાંઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે. અંદાજિત રૂ. 1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે.
સોમનાથની કળા આરાધનાની પુનઃ પ્રતિષ્ઠા:
શ્રી સોમનાથ ટ્રસ્ટ , ગુજરાત પ્રવાસન, અને IGNCA કૃત વંદે સોમનાથ કાર્યક્રમ માત્ર એક કલા મહોત્સવ ન રહી સોમનાથની ભૂમિ પર સાંસ્કૃતિક દિવ્યતા અને કલાત્મક વારસાની પુનઃપ્રતિષ્ઠા રૂપ મહોત્સવ બન્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને ગૌરવના પુનઃ સ્થાપક આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ- મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી સોમનાથ તીર્થ ફક્ત ધાર્મિક જ નહીં,પરંતુ સંસ્કૃતિ ગૌરવમય વારસાનું કેન્દ્ર બની રહ્યું છે – જ્યાં ભક્તિ, ભવ્ય વારસો અને ભારતીયતા એકસાથે અવતરિત થયા હતા. ઇતિહાસમાં જેમ સોમનાથ માં હજારો નૃત્યાંગનાઓ દ્વારા મહાદેવની આરાધના થતી, તે સોમનાથનો કલાત્મક સ્વર્ણિમ સતયુગ આ કાર્યક્રમ થકી ફરી સ્થાપિત થઈ ચૂક્યો હોય તેવી લાગણી સર્જાઈ હતી.
વિશ્વના ખૂણે-ખૂણે જય સોમનાથ:
શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકોને ઘરે બેઠા થઈ શકે તેના માટે સોશ્યલ મીડીયા મહત્વનું માધ્યમ બન્યુ હતું. જેમાં ટ્રસ્ટ દ્વારા વિવિધ શોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર 45 દેશમાં વસતા 18.32 કરોડ થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પુજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન નિત્ય દર્શન અને એમના વિશેષ મહાત્મ્ય સમજાવતા વિડિયો તૈયાર કરવામાં આવતા હતા, જેમને પણ ભક્તો દ્વારા વિશેષ પ્રતિસાદ મળેલો હતો.
મહાનુભાવોના આગમન:
શ્રાવણ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ, ઉપરાંત લદ્દાખના માન.રાજ્યપાલ કવિન્દર ગુપ્તા, ગુજરાતના વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા, ભાનુબેન બાબરીયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન ભાઇ પટેલ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, icc ના ચેરમેન શ્રી જયભાઈ શાહ સહિતના મહાનુભાવો સોમનાથ પધાર્યા હતા.
ટ્રસ્ટ પરિવારની પ્રયત્નશીલતા:
શ્રાવણ દરમ્યાન માન.ટ્રસ્ટીગણના માર્ગદર્શન હેઠળ માન.સેક્રેટરી યોગેન્દ્રભાઇ દેસાઇની નિરંતર મળતી સુચનાઓ અને રૂબરૂ પધારીને માર્ગદર્શન થકી ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ દ્વારા શ્રાવણ માસ દરમ્યાન સ્વચ્છતા, યાત્રીસુવિધા, પાર્કીગ નિયમન, પ્રસાદ વિગેરે વ્યવસ્થાઓ ઉત્તમ રીતે જળવાય તેમજ દેશ પરદેશથી આવતા યાત્રીકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી સુંદર વ્યવસ્થામાં ગોઠવવામાં આવેલ હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ