અમરેલી 2 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી શહેરમાં ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી વચ્ચે સાંસદ ભરત સુતરિયા દ્વારા વિવિધ પંડાલોની મુલાકાત લઈ પૂજા આરતી કરવામાં આવી. ભક્તિભાવથી યોજાયેલી આ આરતીમાં મોટી સંખ્યામાં શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદએ ગણેશજીની કૃપા સર્વે જન પર બની રહે તેવી તથા સમાજમાં સુખ-શાંતિ, એકતા અને સમૃદ્ધિ છવાય તેવી હાર્દિક પ્રાર્થના કરી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગણેશ મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ સામાજિક એકતાનું પ્રતિક છે. આવા પર્વો દ્વારા સમાજમાં ભાઈચારું, પરસ્પર સહકાર અને સંસ્કૃતિ પ્રત્યેની લગાવની ભાવના વધુ મજબૂત બને છે. શહેરના વિવિધ પંડાલોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો, જેમાં નાના-મોટા, સ્ત્રી-પુરુષ અને યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
સાંસદએ શહેરવાસીઓને સંદેશ આપ્યો કે ગણેશજીના આશીર્વાદથી સમાજમાં પ્રગતિ અને વિકાસના નવા માર્ગો ખુલશે. ગણેશોત્સવ દરમિયાન આયોજિત સામૂહિક કાર્યક્રમો લોકો વચ્ચે સકારાત્મકતા ફેલાવવાનો શ્રેષ્ઠ માધ્યમ છે. આ રીતે અમરેલી શહેરના ગણેશ પંડાલોમાં સાંસદ ભરત સુતરિયાની હાજરીએ ઉત્સવને વધુ ભવ્યતા આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai