ગાંધીનગર, 27 સપ્ટેમ્બર (હિ.સ.) ગુજરાત વિધાનસભા ભવનનું નામ જેમના નામ ઉપરથી અપાયું છે એવા વિઠ્ઠલભાઇ પટેલની 152 મી જન્મજયંતિ નિમિતે આજે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભા પટાંગણમાં આવેલી તેમની પ્રતિમા સમક્ષ અને ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતેના તૈલચિત્રને ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રાજ્ય માહિતી વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી કે વર્ષ ૧૯૨૫થી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ભારતીય પ્રમુખ અને સ્વરાજ પાર્ટીના સહ સંસ્થાપક વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ ૨૭ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ નડિયાદમાં થયો હતો. તેઓ તેમની મુત્સદ્દીગીરી માટે ભારતભરમાં વિશેષ ઓળખ ધરાવતા હતા. વર્ષ ૧૯૩૦માં આઝાદીની ચળવળ શરૂ થતાં મધ્યસ્થ ધારાસભામાંથી રાજીનામું આપી સક્રિય રીતે આઝાદીના લડતમાં જોડાયા હતા.
આ પ્રસંગે, અધ્યક્ષએ શ્રી વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ સેક્ટર -૨૫ના વિદ્યાર્થીઓ સાથે વિઠ્ઠલભાઈ પટેલના જીવન પ્રસંગો વાગોળ્યા હતા.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, શાસક પક્ષના નેતા અનિલસિંહ વાઘેલા, દંડક સેજલબેન પરમાર, શહેર પ્રમુખ આશિષભાઈ દવે, ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરઓ,
વિધાનસભાના અધિકારીઓ- કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહીને પુષ્પ અર્પણ કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ