અમરેલી , 3 સપ્ટેમ્બર (હિ.સ.) અમરેલી તાલુકાના અનેક ગામોમાં ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. પ્રતાપપરા, માળીલા, સોનારીયા અને શંભુપરા ગામના ખેડૂતોના પાક ધોવાઈ જતા તેઓ આર્થિક સંકટમાં ફસાયા હતા. સરકાર દ્વારા પાક નુકસાનનું સર્વેક્ષણ કરી વળતર જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ઘણા ખેડૂતોને યોગ્ય વળતર મળ્યું નથી અથવા તેમને મળેલ સહાય અપૂર્ણ છે.
આ સંજોગોમાં અમરડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાએ ખેડૂતોને ન્યાય મળે તે માટે આગળ આવીને અવાજ ઉઠાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, વળતર વિતરણ પ્રક્રિયામાં થયેલ ગેરરીતિઓને દૂર કરીને તમામ પાત્ર ખેડૂતોને યોગ્ય પ્રમાણમાં સહાય આપવામાં આવે. ખેડૂતોના શ્રમનું સચોટ મૂલ્યાંકન થવું જોઈએ અને પાક નુકસાનની વાસ્તવિક સ્થિતિને આધારે જ વળતર નક્કી થવું જોઈએ.
શ્રી સાવલિયાએ માંગણી કરી છે કે, સંબંધિત અધિકારીઓ તાત્કાલિક અસરથી તપાસ હાથ ધરીને ખેડૂતોને યોગ્ય ન્યાય આપે. ખેડૂતોને વળતર મળવાથી તેમની જીવનજરૂરી જરૂરિયાતો પૂરી થશે અને ખેતી વ્યવસાયમાં ફરીથી સ્થિરતા આવશે. આ માંગણીને કારણે સ્થાનિક ખેડૂતોમાં આશાનો કિરણ જાગ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai