મહેસાણા, 3 સપ્ટેમ્બર (હિ.સ.): મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના 667મા સ્થાપના દિવસ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોની શૃંખલા અંતર્ગત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે વિશેષ સાંસ્કૃતિક સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગીત-સંગીત અને ભજન સંધ્યા (ડાયરા)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં જાણીતા કલાકારોએ સુમધુર ગીતો અને ભાવભીનાં ભજનોની રસાળ પ્રસ્તુતિ આપી. ભક્તિમય વાતાવરણમાં શ્રોતાઓ કલાકારોના સંગીતમાં તલ્લીન થઈ ગયા. ડાયરાની મીઠી ધૂન અને ભક્તિગીતો સાથે સમગ્ર ટાઉન હોલ ગુંજી ઉઠ્યો. મહાનગરપાલિકાના પ્રતિનિધિઓએ જણાવ્યું કે શહેરના સ્થાપના દિવસને માત્ર ઐતિહાસિક મહત્ત્વ જ નહીં, પરંતુ સાંસ્કૃતિક પરંપરાને જીવંત રાખવા માટે પણ મનાવવામાં આવે છે. આવા કાર્યક્રમો શહેરના નાગરિકોને એકતાના સૂત્રમાં બાંધે છે અને પેઢીને પરંપરા સાથે જોડે છે.
પ્રજાજનોના ઉત્સાહ અને હાજરીથી કાર્યક્રમને વિશેષ સફળતા મળી. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આવનારા દિવસોમાં પણ આવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું રહેશે, તેવી માહિતી આપવામાં આવી. શહેરના સ્થાપના દિવસની ઉજવણી સાંસ્કૃતિક ગૌરવ સાથે યાદગાર બની.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR