અમરેલી ,3 સપ્ટેમ્બર (હિ.સ.): અમરેલી જિલ્લાના જાફરાબાદ સમુદ્ર કિનારે દરિયામાં કેટલાક અજાણ્યા કન્ટેનર તરતા જોવા મળ્યા હોવાની માહિતી બહાર આવી છે. આ સંજોગોમાં જિલ્લા કચેરી દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. તમામ માછીમાર બોટ માલીકો, સમાજના આગેવાનો, સહકારી મંડળીઓના પ્રમુખો તથા માછીમાર બોટ એસોસિએશનને સાવચેત રહેવા માટે ચેતવણી આપવામાં આવી છે.
જિલ્લા કચેરીએ જણાવ્યું છે કે આ કન્ટેનરમાં શું સામગ્રી છે તેની ચોક્કસ માહિતી હાલમાં ઉપલબ્ધ નથી. એ કારણે સમુદ્રમાં જતા માછીમારોને આ કન્ટેનરોની નજીક ન જવા તથા જો આવી કોઈ વસ્તુ નજરે પડે તો તાત્કાલિક સ્થાનિક કિનારી પોલીસ, કોસ્ટગાર્ડ અથવા બંદર કચેરીને જાણ કરવા સૂચના અપાઈ છે.
આ અચાનક દરિયામાં તરતા કન્ટેનરોના કારણે માછીમાર સમાજમાં ચિંતા ફેલાઈ છે. માછીમારો રોજિંદા રોજગાર માટે દરિયામાં જતાં હોય છે, એવામાં આ પ્રકારની અજાણી વસ્તુઓ તેમની સુરક્ષાને જોખમમાં મૂકી શકે છે. સરકારના તંત્રો હાલ કન્ટેનર અંગે તપાસ હાથ ધરી રહ્યા છે અને દરિયાઈ વિસ્તારોમાં વધુ ચેતીકરણની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કચેરીએ સૌને અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાને જ માનવા અનુરોધ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai