જામનગર, 4 સપ્ટેમ્બર (હિ.સ.): જામનગર જિલ્લા કલેકટર કચેરી, તાબાની પ્રાંત કચેરી અને મામલતદાર કચેરી સામે ચાલતા તમામ કોર્ટ કેસોમાં સરકારના પક્ષે સબળ રજુઆત થઈ શકે તેમજ અસરકારક બચાવ થઈ શકે તે માટે કલેકટર કચેરી, જામનગર માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક (1) જગ્યા સરકારના મહેસુલ વિભાગના ઠરાવથી મંજુર થયેલ છે.
આ જગ્યા ઉપર નિમણુંક આપવા માટે લાયકાત ધરાવતા વકીલો કે જેઓની વકીલ તરીકેની પ્રેકટીસ પાંચ (5) વર્ષથી વધુ હોય અને ઉંમર પચાસ (50) વર્ષથી વધુ ન હોય તેવા વકીલો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારોએ તેમની અરજીઓ નિયત નમુના મુજબ પોતાના લેટરપેડ ઉપર અથવા કોરા કાગળ ઉપર ભરીને તેમની જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો, નિયત નમુનાના ડેકલેરેશન ફોર્મ અને બાંહેધરી પત્રકની વિગતો ભરીને આ સાથે આગામી તારીખ 15/09/2025 સુધીમાં કચેરી સમય સાંજના 06:10 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે.
નિમણુંક મેળવનાર ઉમેદવારને સેવાની અન્ય બોલીઓ અને શરતો પરિશિષ્ટ- 1 મુજબ લાગુ પડશે. તેમજ તેમણે બજાવવાની રહેતી સામાન્ય ફરજો અને જવાબદારીઓની વિગતો પરિશિષ્ટ- 2 મુજબ રહેશે. આ અંગે સરકારના વખતો- વખતના હુકમોનું પાલન કરવાનું રહેશે. અરજીનો નમુનો તથા પરિશિષ્ટ- 1 થી 3, નિયત નમુનાના ડેકલેરેશન ફોર્મ અને બાંહેધરી પત્રક જિલ્લા સેવા સદન, શરૂ સેકશન રોડ, કલેકટર કચેરીની મેજિસ્ટ્રેરીયલ શાખા, રૂમ નંબર 110, પહેલો માળથી કચેરી સમય દરમિયાન મળી શકશે.
અધુરી વિગતની, સંદિગ્ધ અરજીઓ અને મુદ્દત વિત્યા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં. ઉમેદવારને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે, તો તેમણે સ્વખર્ચે આવવાનું રહેશે. તેમ જિલ્લા કલેકટર કેતન ઠક્કરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt