ગીર સોમનાથ 4 સપ્ટેમ્બર (હિ.સ.) સુત્રાપાડા બંદર ખાતે સમગ્ર માછીમાર સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલો, આગેવાનો તેમજ સ્થાનિક સરપંચની આગેવાનીમાં યોજાયેલી આ શોભાયાત્રા બેન્ડબાજાની રમઝટ, અબીલ-ગુલાલની ઉડાવણી અને જય રામદેવપીરના જયઘોષ વચ્ચે ધામધૂમપૂર્વક નીકળી હતી.
આ ભવ્ય શોભાયાત્રામાં સુત્રાપાડા બંદર તેમજ આજુબાજુના વિસ્તારના આશરે પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રદ્ધા અને ભક્તિથી ઓતપ્રોત માહોલ વચ્ચે શોભાયાત્રા દરિયા કિનારે સ્થિત રામદેવપીર મહારાજના મંદિરે પૂરી થઈ હતી.
કાર્યક્રમના અંતે રામદેવપીર મહારાજના મંદિરે ધ્વજાવિધી કરી ધ્વજા ચઢાવવામાં આવી હતી. સમગ્ર બંદર વિસ્તારમાં ધાર્મિક અને ભક્તિપૂર્ણ વાતાવરણ છવાઈ ગયું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ