મહેસાણા, 4 સપ્ટેમ્બર (હિ.સ.): અંબાજીના ભાદરવી પૂનમ મહામેળા દરમ્યાન લાખો પદયાત્રીઓ પોતાના ગામ-શહેરમાંથી ચાલીને માઁ અંબાના દર્શન માટે નીકળે છે. આવા સમયે રસ્તામાં યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે અનેક સેવાકેમ્પો કાર્યરત થાય છે. માણસા તાલુકાના વેડા-આનંદપુરા ગામના યુવાનો દ્વારા સતલાસણા તાલુકાના ટીંબા (ઘાટું) ખાતે શરૂ કરાયેલ “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” છેલ્લા 25 વર્ષથી અવિરત સેવા આપી રહ્યો છે.
એક નાનકડા વિચારથી શરુ કરાયેલા આ સેવા યજ્ઞે આજે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શરૂઆતમાં ફક્ત પાણી અને લીંબુ શરબત પૂરું પાડતા આ કેમ્પમાં હવે ચા-નાસ્તો, શરબત, સફરજન, મેડિકલ તેમજ આરામની સુવિધા ઉપલબ્ધ છે. દર વર્ષે આશરે 30 થી 35 હજાર પદયાત્રીઓ આ સેવા કેમ્પનો લાભ લે છે.
આ કેમ્પની વિશેષતા એ છે કે અહીં માત્ર પૈસાનું જ નહીં, પરંતુ શ્રમદાનનું પણ યોગદાન છે. ગામના યુવાનો ધંધો-નોકરી છોડી અંબાની સેવા માટે ચાર દિવસ રાત-દિવસ હાજર રહે છે. નવ વર્ષ પહેલા વાવવામાં આવેલા નવ વડ આજે વટવૃક્ષ બની પર્યાવરણ સંરક્ષણનું પ્રતિક બની રહ્યા છે. દાતાઓના સહકારથી દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં માઁ અંબાની કૃપાથી સેવા સતત ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR