મહેસાણા, 6 સપ્ટેમ્બર (હિ.સ.): BAPS સ્વામીનારાયણ મંદિર મહેસાણા ખાતે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજનું આગમન નિમિત્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ અવસર પર સમગ્ર મંદિરને રંગબેરંગી સુશોભનથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે મહિલા ભક્તોએ ફૂલોથી રંગોળી બનાવી ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
આ પ્રસંગે 500થી વધુ પુરુષ-મહિલા અને યુવા ભક્તોએ છેલ્લા 45 દિવસથી વ્રત, તપ અને ઉપવાસ કરીને ગુરુભક્તિ અદા કરી હતી. જેમાંથી 10 હરિભક્તોએ સતત 92 કલાક સર્જળ અને લિક્વિડ ઉપવાસ કરીને ગુરુહરિનો વિશેષ રાજીપો મેળવ્યો હતો. સ્વામીના આગમન નિમિત્તે યુવકો દ્વારા બેન્ડ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો અને યુવાનો દ્વારા પંચતત્વોના પ્રતિક રૂપે સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્રસંગે મહેસાણા ઉપરાંત બનાસકાંઠા, પાટણ, અર્ધ ગાંધીનગર જિલ્લામાંથી તેમજ વિદેશમાં વસતા ભક્તોએ હાજરી આપી દર્શન-આશીર્વાદનો લાભ લીધો હતો.
અત્રે નોંધનીય છે કે તા. 7, 9, 10, 11, 12, 14, 15 અને 16 સપ્ટેમ્બરના રોજ સવારે 5:45 કલાકે મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા તથા સાંજે 5:45 થી 8:00 કલાક દરમિયાન વિશિષ્ટ સભાઓનું આયોજન કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR