
ગાંધીનગર, 10 જાન્યુઆરી (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના ગૃહ રાજ્ય ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. 10 થી 12 જાન્યુઆરી દરમિયાન તેઓ સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં ધાર્મિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે.
10 જાન્યુઆરી: સોમનાથમાં આધ્યાત્મિક સાંજ
વડાપ્રધાન 10 જાન્યુઆરીની સાંજે સોમનાથ પહોંચશે. અહીં તેઓ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે. ત્યારબાદ રાત્રે અંદાજે 8 વાગ્યે ‘ઓમકાર મંત્ર જાપ’માં ભાગ લેશે તેમજ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શો નિહાળશે.
11 જાન્યુઆરી: શૌર્ય યાત્રા, પૂજા અને વાયબ્રન્ટ ગુજરાત સંમેલન
સોમનાથમાં પૂજા-અર્ચના:
11 જાન્યુઆરીના રોજ સવારે આશરે 9:45 વાગ્યે વડાપ્રધાન શૌર્ય યાત્રામાં જોડાશે. આ યાત્રા સોમનાથ મંદિરની રક્ષા કરતા શહીદ થયેલા યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાય છે. ત્યારબાદ સવારે લગભગ 10:15 વાગ્યે વડાપ્રધાન સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે.
રાજકોટમાં ‘વાયબ્રન્ટ ગુજરાત’ ક્ષેત્રીય સંમેલન:
સોમનાથના કાર્યક્રમો બાદ વડાપ્રધાન રાજકોટ જશે, જ્યાં તેઓ કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ક્ષેત્રીય સંમેલનમાં ભાગ લેશે. બપોરે લગભગ 1:30 વાગ્યે ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યે મારવાડી યુનિવર્સિટીમાં સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કરીને જનસભાને સંબોધિત કરશે.
અમદાવાદમાં મેટ્રોનું ઉદ્ઘાટન:
રાજકોટથી વડાપ્રધાન અમદાવાદ જશે. સાંજે આશરે 5:15 વાગ્યે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પર અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાના સેક્ટર-10Aથી મહાત્મા મંદિર સુધીના બાકી રહેલા ભાગનું ઉદ્ઘાટન કરશે.
12 જાન્યુઆરી: જર્મન ચાન્સેલર સાથે દ્વિપક્ષીય બેઠક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12 અને 13 જાન્યુઆરીએ ભારતની સત્તાવાર મુલાકાતે આવશે.
સાબરમતી આશ્રમ અને પતંગોત્સવ:
12 જાન્યુઆરીની સવારે લગભગ 9:30 વાગ્યે વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ સવારે 10 વાગ્યે બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.
સવારે 11:15 વાગ્યાથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા થશે. આ બેઠકમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, સંરક્ષણ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાનનો આ પ્રવાસ ગુજરાત તેમજ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ ગણાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે