
અમરેલી, 10 જાન્યુઆરી (હિ.સ.) અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં એન.એસ.યુ.આઈ. (NSUI) દ્વારા “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” અભિયાન અંતર્ગત નશા મુક્તિ અંગે વિશેષ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના યુવાનોમાં વધતી નશાની પ્રવૃત્તિ સામે સચેતતા લાવવા અને સ્વસ્થ, ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપવા આ અભિયાન યોજાયું હતું.
કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈના આગેવાનો અને વિદ્યાર્થી કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓને નશાના દૂષ્પ્રભાવો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. નશો માત્ર વ્યક્તિના આરોગ્યને જ નહીં પરંતુ તેના પરિવાર, સમાજ અને કારકિર્દી પર પણ ગંભીર અસર કરે છે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો. વિદ્યાર્થીઓને નશાથી દૂર રહી શિક્ષણ, રમતગમત અને સામાજિક સેવાઓમાં સક્રિય રહેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
આ અભિયાન અંતર્ગત કોલેજ પરિસરમાં પોસ્ટર અભિયાન, સંવાદ સત્રો તથા શપથ કાર્યક્રમો યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અનેક કોલેજોમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ નશા મુક્ત સમાજ રચવામાં પોતાની ભૂમિકા નિભાવવાની તૈયારી દર્શાવી.
એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું કે આવનારા સમયમાં પણ જિલ્લામાં નશા મુક્તિ માટે આવા જનહિતકારી કાર્યક્રમો સતત યોજવામાં આવશે, જેથી યુવાનોને સાચી દિશામાં માર્ગદર્શન મળી શકે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai