

-સફાઇ કામદારો પર દુર્ગંધયુક્ત કચરામાં કામ કરાવવાનું દબાણ કરાતું હોવાના આક્ષેપ
-કામદારોને છુટા કરતા આપી આંદોલનની ચીમકી
ભરૂચ. 10 જાન્યુઆરી (હિ.સ.) ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સેનિટાઇઝ પાર્કમાં કામ કરવાના મુદ્દે ગ્રામ પંચાયત અને સફાઇ કામદારો વચ્ચે વિવાદ ઊભો થયો છે. ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કામદારોને સેનિટાઇઝ પાર્કમાં કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઝઘડિયામાં કચરો એકત્ર કરવા માટે સેનિટાઇઝ પાર્ક બનાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયત દ્વારા સફાઇ કામદારોને આ સેનિટાઇઝ પાર્કમાં કામ કરવા સૂચના આપવામાં આવી હતી. સફાઇ કામદારોએ જણાવ્યું હતું કે તેમને દુર્ગંધ મારતા કચરામાં કામ કરવા મજબૂર કરવામાં આવે છે.
સફાઇ કામદારોના જણાવ્યા મુજબ તેઓ ગામના વિવિધ વિસ્તારોમાં દૈનિક સફાઇ કામગીરી કરે છે, જેમાં 3 થી 5 કલાકનો સમય લાગે છે અને તેના બદલામાં તેમને રૂ. 160 દૈનિક વેતન આપવામાં આવે છે. તેઓ છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી સફાઇ કામદાર તરીકે સેવા આપી રહ્યા છે.
કામદારોનો આક્ષેપ છે કે સેનિટાઇઝ પાર્કમાં કામ કરવા ઇનકાર કરતા ગ્રામ પંચાયત દ્વારા તેમને તા. 6 જાન્યુઆરીથી કામ પરથી છુટા કરવામાં આવ્યા છે. જેના કારણે તેમના પરિવારના ગુજરાન પર અસર પડી રહી હોવાનું કામદારોએ જણાવ્યું હતું.સફાઇ કામદારોએ ચેતવણી આપી છે કે જો તેમને યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ ગ્રામ પંચાયત સામે આંદોલનનો માર્ગ અપનાવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ