
અમરેલી,16 જાન્યુઆરી (હિ.સ.)
અમરેલી શહેરના ચિતલ રોડ સ્થિત વોર્ડ નંબર ૨ ખાતે સિદ્ધિવિનાયક મહિલા મંડળ દ્વારા આયોજિત બહુચર ગાથાની પૂર્ણાહુતિ સમારોહનો ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત હવન યજ્ઞ યોજાયો હતો, જેમાં મંત્રીકોશિક વેકારીયાવિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
હવન યજ્ઞ દરમિયાન મંત્રોચ્ચાર અને વૈદિક વિધિ સાથે માતા બહુચરજીની આરાધના કરવામાં આવી હતી. મંત્રી કોશિક વેકારીયાએ હવનમાં આહુતિ અર્પણ કરી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો સુઅવસર મેળવ્યો હતો. તેમણે સિદ્ધિવિનાયક મહિલા મંડળની કામગીરીને બિરદાવતાં જણાવ્યું હતું કે આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સદ્ભાવના અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરે છે.
કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, મહિલા મંડળની બહેનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભક્તિરસ છવાઈ ગયો હતો અને માતાજીના જયકારો સાથે વાતાવરણ પાવન બન્યું હતું.
બહુચર ગાથાની પૂર્ણાહુતિ પ્રસંગે પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ આવા કાર્યક્રમોથી સમાજમાં સકારાત્મક ઊર્જા ફેલાતી હોવાનું જણાવતાં આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai