

ગાંધીનગર, 19 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’-સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨.૦ અંતર્ગત રૂ. ૧૦.૮૩ કરોડથી વધુ કિંમતના ૧૫ હેવી અર્થ મુવિંગ મશિનરી તથા નિરીક્ષણ વાહનોનું આજે ગાંધીનગર ખાતેથી જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૫-૨૬માં જળ સંપત્તિ વિભાગની યાંત્રિક પાંખ દ્વારા રૂ. ૧,૦૮૩.૮૩ લાખના ખર્ચે વિવિધ પ્રકારની મશિનરી અને વાહનોની ખરીદી કરવામાં આવી છે. આ વાહનો દ્વારા રાજ્યના વર્તમાન ડેમ, કેનાલ, તળાવ બનાવવા, દુરસ્ત કરવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન 'કેચ ધ રેઇન’ – સુજલામ સુફલામ્ જળ અભિયાન ૨.૦' અંતર્ગત કાંપ દુર કરી તળાવો ઊંડા કરવા, કેનાલોની મરામત, સાફ સફાઈ, પુરના પાણીને નડતરરૂપ અવરોધો દુર કરવા, પૂર રાહતની આકસ્મિક અને આવશ્યક કામગીરી, જળસંગ્રહ-જળસંચયની કામગીરી સુચારૂ રૂપે-ત્વરીત કરી શકાય તે હેતુથી આ આધુનિક હેવી મશિનરીની ખરીદી કરવામાં આવી છે.
મંત્રીએ કહ્યું હતું કે, સુરત ખાતે તાપી નદીમાં ઝીંગા તળાવની માસ ડિમોલીશનની કામગીરી સાત નંગ ડોઝર મશિનરીથી ચાલુ છે. જેમાં ૪૫ સ્ક્વેર કિ.મીની ડીમોલીશન કામગીરી હતી તેમાંથી અંદાજિત ૫ સ્ક્વેર કિ.મી જેટલી કામગીરી પૂર્ણ થઈ છે. આ મશિનરીમાંથી બે મોટા ડોઝર સુરત ખાતે કામગીરી માટે ફાળવવામાં આવશે. જ્યારે અન્ય મશિનરીઓ રાજ્યના સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ઝોનમાં ફાળવવામાં આવશે. ગત વર્ષે પણ રૂ. ૮૭૯ લાખના ખર્ચે કુલ ૧૫ નંગ હેવી મશિનરીઓની ખરીદી કરી રાજ્યના ચારેય ઝોનમાં પ્રજાલક્ષી કામો માટે ફાળવણી કરવામાં આવી હતી.
મંત્રી ઈશ્વરસિંહ પટેલે વાહનોની ઉપયોગીતા વિશે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, જળ સંપત્તિ વિભાગની મશિનરી દ્વારા વાર્ષિક અંદાજીત ૭૦ લાખ ઘન મીટરથી વધુ માટીકામ તેમજ હયાત કેનાલ, ડેમના પાળા પર ઉગી નીકળેલ નડતર રૂપ ઝાડી ઝાખરા તેમજ નકામી વનસ્પતિ વિગેરેને દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે. તદઉપરાંત ગામ તળાવ નવા બનાવવા, છિછરા થયેલ હયાત તળાવોને પુન: ઉડા કરવા તેમજ પુર દરમિયાન ડેમના અને કેનાલના ક્ષતી પામેલ પાળાઓની મરામત કામગીરી કરવામાં આવે છે. આ કામગીરીથી ડેમ સલામતીમાં વધારો થશે અને ગામ તળાવોની જળ સંગ્રહ શકિતમાં વધારાની સાથે પાણી સંગ્રહ પણ થશે.
વધુમાં જળ સંપત્તિ વિભાગ હેઠળની જળ સંપતિ યોજના, કેનાલ, ગામ તળાવ વિગેરેના ર્નિમાણ તેમજ નિભાવની ચાલતી કામગીરીનું નિરીક્ષણ સુચારૂ રીતે સમયસર પૂર્ણ થઇ શકશે. ઉપરાંત ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ ડેમમાંથી પાણી છોડવાની કામગીરી સમયસર થઇ શકે તે હેતુથી ક્ષેત્રિય કચેરીઓને જરૂરીયાત મુજબના આ નવીન નિરીક્ષણ વાહનોની ફાળવણી કરવામાં આવી છે તેમ, મંત્રી જણાવ્યું હતું.
મંત્રીએ આ વાહનોનું સ્થળ પર નિરીક્ષણ કરીને તેમની કામગીરી અંગે વિગતો મેળવી હતી.
ગાંધીનગરથી મંત્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલા વાહનોમાં રૂ. ૧૦૩.૩૮ લાખના ૦૪ બેકહો લોડર, રૂ. ૧૦૬ લાખના ૦૨ ક્રાઉલર ટાઈપ હાઇડ્રોલીક લોંગરીચ એક્સકેવેટર, રૂ. ૧૪૩.૩૧ લાખના ૦૩ નંગ ક્રાઉલર ટાઈપ હાઇડ્રોલીક એક્સકેવેટર ૦.૯-૧.૦ ક્યુબી.મી કેપેસીટી, રૂ. ૬૨.૬૪ લાખના ખર્ચે ૦૨ ક્રાઉલર ટાઈપ હાઇડ્રોલીક એક્સકેવેટર ૦.૩-૦.૪ ક્યુબી.મી કેપેસીટી, રૂ. ૨૭૭.૫૦ લાખના ૦૨ નંગ ક્રાઉલર ટાઈપ હાઇડ્રોલીક બુલડોઝર BD-૫૦ તેમજ રૂ. ૩૯૧ લાખના ખર્ચે ૦૨ નંગ ક્રાઉલર ટાઈપ હાઇડ્રોલીક બુલડોઝર BD-૬૫ એમ ૧૫ વાહનો મળીને કુલ રૂ. ૧,૦૮૩.૮૩ લાખની રકમ ફાળવવામાં આવી છે.
આ પ્રસંગે મિકેનિકલ શાખાના મુખ્ય ઈજનેર-અધિક સચિવ ડી.એ.ઠક્કર, સિવિલ શાખાના મધ્ય ગુજરાત ઝોનના મુખ્ય ઈજનેર-અધિક સચિવ આર.એમ.પટેલ અને અધિક્ષક ઈજનેર-યાંત્રિક એસ.વી.ધાનાણી સહિત જળ સંપત્તિ વિભાગના ઈજનેરો-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ