
પાટણ, 19 જાન્યુઆરી (હિ.સ.)પાટણ ખાતે તાજેતરમાં ડીજે સાઉન્ડ વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. સામાજિક સુધારાના નામે ડીજે બંધ કરવાના નિર્ણય સામે સંચાલકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વક્તાઓએ આક્ષેપ કર્યો કે ડીજે પર પ્રતિબંધ પાછળ ચોક્કસ રાજકીય એજન્ડા કામ કરી રહ્યો છે, જેના કારણે હજારો પરિવારોની રોજીરોટી સંકટમાં મુકાઈ છે. 5000 કે 10,000 રૂપિયાના ખર્ચથી કોઈ દેવાદાર બને કે નહીં, તેવો સવાલ પણ ઉઠાવાયો હતો.
સંચાલકોના મતે, ડીજે વ્યવસાય સાથે જોડાયેલા મોટા ભાગના લોકો ઠાકોર સમાજના છે. તેથી આ પ્રતિબંધ સીધો ઠાકોર સમાજના યુવાનોના આર્થિક હિતો પર પ્રહાર સમાન છે.
બેઠકમાં કોંગ્રેસ અને સાંસદ ગેનીબેન ઠાકોર સામે ખાસ રોષ વ્યક્ત થયો હતો. ડીસામાં ગેનીબેનના વરઘોડામાં સહયોગ આપનાર લોકો આજે જ આ વ્યવસાયના વિરોધમાં ઊભા છે, તેવી નારાજગી વ્યક્ત કરાઈ હતી.
સાઉન્ડ માલિકોએ જણાવ્યું કે તેઓ માત્ર વ્યવસાય નથી કરતા, પરંતુ અનાથ દીકરીઓના લગ્ન, સમૂહ લગ્ન અને ગરીબ પરિવારો માટે મફત અથવા રાહત દરે સેવા આપી સમાજસેવા પણ કરે છે.
બેઠકના અંતે તમામ સંચાલકોએ એકસૂરે આ રાજકીય ષડયંત્ર સામે લડત આપવાનો નિર્ધાર કર્યો અને ચેતવણી આપી કે જો પ્રતિબંધ પાછો નહીં ખેંચાય, તો આવનારી ચૂંટણીમાં રાજકીય પક્ષોને તેનો જવાબ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ