
અમરેલી,06 જાન્યુઆરી (હિ.સ.) GPKVB-અમરેલી દ્વારા તાલુકાના ચાંપાથળ ગામ ખાતે જિલ્લા અંદરના ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પ્રેરણા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા, ખર્ચ ઘટાડવાની પદ્ધતિઓ તથા ઉત્પાદિત પાકને યોગ્ય બજાર સાથે કેવી રીતે જોડવો તે અંગે વિસ્તૃત માહિતી આપવાનો રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન GPKVB-અમરેલીના અધિકારીઓ અને માર્ગદર્શકો દ્વારા પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ સમજાવવામાં આવી હતી. તેમાં રાસાયણિક ખાતર અને દવાઓના વિકલ્પરૂપે પ્રાકૃતિક ઇનપુટ્સનો ઉપયોગ, જમીનની ઉર્વરતા જાળવવી અને લાંબા ગાળે ખેતીને નફાકારક બનાવવાની માહિતી આપવામાં આવી હતી.
ખાસ કરીને ખેડૂતોને માર્કેટ જોડાણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયેલા પાકને યોગ્ય ભાવ મળે તે માટે સીધા ગ્રાહક, લોકલ બજાર અને મૂલ્યવર્ધનના માર્ગો અંગે સમજ આપવામાં આવી હતી. આ સાથે જીવામૃત તૈયાર કરવાની પદ્ધતિનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં જીવામૃત બનાવવા માટેના ઘટકો, પ્રમાણ અને ઉપયોગની રીત ખેડૂતોને પ્રાયોગિક રીતે બતાવવામાં આવી.
પ્રેરણા પ્રવાસમાં જોડાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આવા કાર્યક્રમો વધુ પ્રમાણમાં યોજવા માટે માંગ ઉઠાવી હતી. ચાંપાથળ ગામે આયોજિત આ કાર્યક્રમ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરતું એક મહત્વપૂર્ણ પગલું બન્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai