
અમરેલી, 07 જાન્યુઆરી (હિ.સ.) : અમરેલી જિલ્લાના ચલાલા ખાતે આવેલ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના સર્વાંગી સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) અંતર્ગત વિશેષ સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સંત ડો. રતિદાદાના આશીર્વાદ તથા ભારત ભૂષણ મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
આર.બી.એસ.કે. ટીમ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓની વિગતવાર સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં બાળકોની આંખોની તપાસ, દાંત, કાન-નાક-ગળા, ત્વચા, વજન-ઊંચાઈ તેમજ સામાન્ય શારીરિક તકલીફોની ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જો કોઈ બાળકમાં આરોગ્ય સંબંધિત સમસ્યા જોવા મળી હોય તો તેને યોગ્ય સારવાર અને આગળની તપાસ માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને રોગોના પ્રારંભિક તબક્કે નિદાન કરીને સમયસર સારવાર સુનિશ્ચિત કરવાનો રહ્યો હતો. શાળા સંચાલન દ્વારા આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો બાળકોના ભવિષ્ય માટે અત્યંત જરૂરી હોવાનું જણાવાયું હતું. વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા વાલીઓએ આ સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમને આવકાર આપ્યો હતો અને આરોગ્ય વિભાગની ટીમના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. આવા કાર્યક્રમો દ્વારા બાળકોના સ્વસ્થ અને સશક્ત ભવિષ્ય માટે મહત્વપૂર્ણ યોગદાન મળતું હોવાનું સૌએ વ્યક્ત કર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai