
- ચાર જિલ્લાને આવરી લેતા ક્લસ્ટર કક્ષાના રોજગાર મેળામાં 45થી વધુ કંપનીઓ દ્વારા 1500થી વધુ રોજગારીની તકો પુરી પડાઈ
અમદાવાદ,07 જાન્યુઆરી (હિ.સ.) અમદાવાદ જિલ્લા રોજગાર કચેરી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના છારોડી સ્થિત કેમ્પસ ખાતે ધારાસભ્ય પાયલ કુકરાણીની ઉપસ્થિતિમાં ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો સફળતાપૂર્વક યોજાયો હતો.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ આયોજિત આ રોજગાર મેળામાં અમદાવાદ, ગાંધીનગર,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઉત્સાહી ઉમેદવારોએ ભાગ લીધો હતો.
આ રોજગાર મેળામાં ખાનગી ક્ષેત્રની 45થી વધુ નામાંકિત કંપનીઓએ ભાગ લઈ વિવિધ ક્ષેત્રોમાં કુલ 1500થી વધુ રોજગારીની તકો પુરી પાડવામાં આવી હતી.
આ ભરતી મેળામાં ધોરણ 7 પાસથી લઈને ઉચ્ચ સ્નાતક સુધીના વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સ્થળ પર ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ઉમેદવારોને એક જ સ્થળે રોજગાર મેળવવાનો સારો અવસર પ્રાપ્ત થયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય પાયલ કુકરાણીએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે ભારત પાસે રહેલી વિશાળ યુવા શક્તિ દેશના ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ માટે સુવર્ણ તક છે. તેમણે જાપાનના અર્થતંત્રનું ઉદાહરણ આપી સમજાવ્યું હતું કે જો યુવાનો પૂરા ઉત્સાહ, કૌશલ્ય અને પ્રતિબદ્ધતા સાથે કાર્યરત થાય તો આગામી 20થી 25 વર્ષોમાં ‘વિકસિત ભારત’નો સંકલ્પ ચોક્કસ સાકાર થશે. તેમણે ઉમેર્યું કે રોજગાર મેળવવો એ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ તે દેશની GDP અને સમૃદ્ધિમાં સીધું યોગદાન આપવાની મહત્વપૂર્ણ તક છે.
આ પ્રસંગે મદદનીશ રોજગાર નિયામક મોનિષા સહાનીએ જણાવ્યું હતું કે રોજગાર કચેરી દ્વારા સંચાલિત ‘અનુબંધમ’ પોર્ટલ નોકરીદાતાઓ અને ઉમેદવારોને જોડવાનું અસરકારક અને વિશ્વસનીય માધ્યમ બની રહ્યું છે. ગુજરાતમાં બેરોજગારીનો નીચો દર રોજગાર કચેરીઓની સક્રિય અને પરિણામલક્ષી કામગીરીનું પ્રતિબિંબ છે. તેમણે યુવાનોને શરૂઆતના પગારને પ્રાધાન્ય આપવાને બદલે લાંબાગાળાની કારકિર્દી વિકાસ, સતત કૌશલ્ય વૃદ્ધિ અને સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ ડૉ. અમી ઉપાધ્યાયે ‘શ્રમના ગૌરવ’ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે કોઈપણ કાર્યમાં વ્યક્તિનો હોદ્દો નહીં પરંતુ તેનું યોગદાન જ તેની સાચી ઓળખ નક્કી કરે છે. તેમણે નવી શિક્ષણ નીતિ (NEP-2020) અંતર્ગત કૌશલ્ય આધારિત શિક્ષણ અને તાલીમના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે જ્યારે કાર્યને પૂજા સમજીને કરવામાં આવે છે ત્યારે જ રાષ્ટ્ર નિર્માણમાં સાચું અને ટકાઉ યોગદાન આપી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ