
અમરેલી, 08 જાન્યુઆરી (હિ.સ.) : ઇફકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત અમરેલી શહેરના ચક્કરગઢ રોડ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો તેમજ ખેત મજૂરોને શિયાળાની ઠંડી સામે રાહતરૂપ ધાબળા વિતરણ કરવામાં આવ્યા. આ માનવતાભર્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગરીબ અને શ્રમિક પરિવારોને લાભ મળ્યો. આ અવસરે IFFCO તથા NCUI ના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ધાબળા વિતરણ કરી સમાજના અંતિમ પાંખે ઉભેલા લોકો સાથે આત્મીય સંવાદ સાધ્યો.
દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્ર માત્ર ખેતી અને ઉત્પાદન પૂરતું સીમિત નથી, પરંતુ સમાજના નબળા વર્ગોની ચિંતા કરવી પણ તેની મહત્વની જવાબદારી છે. શિયાળાની કડક ઠંડીમાં ખેત મજૂરો અને ગરીબ પરિવારોને થોડીક પણ રાહત મળે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સ્થાનિક આગેવાનો અને ઇફકોના અધિકારીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી વ્યવસ્થાઓ સંભાળી. લાભાર્થીઓએ ઇફકોના આ માનવતાપૂર્ણ પ્રયાસ માટે આભાર વ્યક્ત કર્યો હતો. સહકાર અને સેવાના સંયોજન સાથે ઇફકો દ્વારા હાથ ધરાયેલા આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવી રહ્યા છે અને માનવસેવાને નવી દિશા આપી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai