
જામનગર, 09 જાન્યુઆરી (હિ.સ.) : જામનગરના વોર્ડ નંબર 2 ના મોમાઈનગર મેઇન રોડ પર નાખેલી પાણીની પાઇપ લાઇનમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે શહેર યુવક કોંગ્રેસ દ્વારા નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. શહેરના વોર્ડ નંબર 2 માં આવેલા મોમાઈનગર મેઇન રોડ પર હાલ સીસી રોડનું કામ ચાલુ છે, જે રોડના ખોદાણ કામ વખતે રોડની વચ્ચે પાણીની ડીઆઇ પાઇપલાઈન નાખવામાં આવી છે, આ લાઈન આશરે 6 થી 8 મહિના પહેલા નાખેલી છે, તેમ જાણવા મળ્યું છે. આ લાઇન નાખવાના નિયમ અનુસાર આ પાણીની લાઈન જમીનથી આશરે ત્રણ ફૂટ નીચે હોવી જોઈએ, પરંતુ આ લાઇન જમીનથી માત્ર એક ફૂટ ઉંડી રાખેલી છે.
હાલ સીસી રોડનું કામ ચાલુ હોય આ લાઈન માત્ર એક ફૂટ ઊંડી નાખેલી છે. જે સ્પષ્ટ જોવા મળે છે. આ પાણીની લાઈનના કોન્ટ્રાકટમાં ભ્રષ્ટાચાર થયેલ છે. આથી તાત્કાલિક ધોરણે આ પાણીની લાઈનનું સર્વે કરી નિયમ અનુસાર કામ કરાવવામાં આવે તથા જે કોન્ટ્રાક્ટરે આ કામ કરી અને ભ્રષ્ટાચાર કરેલ છે, તે કોન્ટ્રાક્ટર પર કાયદેસરની કાર્યવાહી કરી એની સાથે જોડાયેલા જે તે અધિકારીઓ પર પણ કડકમાં કડક પગલાં લેવામાં આવે.
જો આ કોન્ટ્રાક્ટર અને તેમાં સંડોવાયેલા અધિકારીઓને છાવરવામાં આવશે, તો ના છૂટકે કમિશનર કચેરીમાં આંદોલન કરવામાં આવશે, તેવી યુવક કોંગ્રેસ જામનગર શહેરના પ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ ચીમકી પણ આપી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt